સણસોલીના રૂદ્ર પટેલ અને નડિયાદના પવાર દંપતિની અંતિમયાત્રા નિકળી
- ખેડા જિલ્લામાં 3 મૃતદેહ વતનમાં લવાયા
- રૂદ્ર પટેલ ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઇ રહ્યો હતો, સ્વજનો અને ગામમાં શોકનો માહોલ
મહેમદાવાદના વણસોલી ગામના રૂદ્ર પટેલ અભ્યાસ માટે અમદાવાદથી લંડન જઇ રહ્યો હતો. તા. ૧૨મી જૂને અમદાવાદથી નિકળતા પ્લેન ક્રેશ થતાં રૂદ્ર પટેલનું મોત થયું હતું. આજે સવારે રૂદ્ર પટેલનો મૃતદેહ વતન વણસોલી ગામે લવાયો હતો અને આ યુવકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, રૂદ્ર પટેલના માતા અને પિતા પ્રાથમિક શિક્ષક છે. તેમના પુત્રના ઉજ્જળ ભવિષ્ય માટે વિદેશ મોકલવાનો નિર્ણય કર્યો હતો. નડિયાદના મહાદેવ તુકારામ પવાર અને તેમના પત્ની આશાબહેન મહાદેવ પવારની આજે અંતિમ યાત્રા યોજાઇ હતી. જેમાં કલેક્ટર, એસપી, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રાને લઇ શોકનો માહોલ છવાયો હતો.
કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખને મૃતદેહ સોંપવા તજવીજ
કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનું ગત ૧૨ જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે પ્લેન ક્રેશ થતા નિધન થયું હતું. ત્યારબાદ આજે છઠ્ઠા દિવસે તેઓના ડીએનએ મેચ થતા પરિવારજનોને આજે રૂબરૂ મૃતદેહ સોપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેઓની સ્માશાન યાત્રા આવતીકાલ બુધવારે સવારે નવ વાગ્યે કુમાર શાળા પાસેથી નિકળશે. કઠલાલ સ્મશાન ગુહ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
મહુધાના દંપતિના અંતિમ સંસ્કાર કરાયા
મહુધા તાલુકાના સિઘાલી ગામના સરદાર પોળના પ્રવિણભાઇ ચીમનલાલ પટેલ અને તેમની પત્ની રંજનબેન લંડન જવા નીકળ્યા હતા. આ બંને દંપતીના મૃતદેહ આજે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જ્યાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.