રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ

રૂ 40 કરોડનો પ્રોજેક્ટ છ મહિનાથી અધ્ધરતાલ : રેલવે તંત્રની મંજૂરી સાથે જમીન સંપાદન અને ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ : ગાંધીનગરથી માત્ર લીલીઝંડીની જોવાતી રાહ
રાજકોટ, : ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સવલત એવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રાજકોટ એઈમ્સ હોસ્પિટલ)ને સાંકળતા જામનગર હાઈવે તરફના સૌથી મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ જવાથી રૂ 40 કરોડનો પ્રોજેક્ટ અધ્ધરતાલ બની ગયો છે. ઓવરબ્રિજ માટે રેલવે તંત્રની મંજૂરી સાથે જમીન સંપાદન અને ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, પણ ગાંધીનગરથી લીલીઝંડીની રાહમાં મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે.
રાજકોટ એઇમ્સ તરફના રોડ અને રેલ્વે પુલ અથવા ક્રોસિંગનો મુખ્ય પ્રશ્ન જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીકની રેલ્વે ફાટકને લઈને છે. અહીં રેલ્વે ક્રોસિંગને કારણે દરરોજ ભારે ટ્રાફિક જામ થાય છે. દરરોજ સેંકડો દર્દીઓ, એમ્બ્યુલન્સ અને વાહનચાલકો સહિત ૫૦૦૦થી વધુ રાહદારીઓને મુશ્કેલી પડે છે. અહીં પેસેન્જર અને ગુડ્સ ટ્રેનોની અવરજવર વધુ હોવાથી રેલવે ફાટક વારંવાર બંધ થાય છે અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો-રાહદારીઓને લાંબો સમય રાહ જોવી પડે છે, જે ખાસ કરીને ઇમર્જન્સી કેસમાં જોખમી બને છે.
રાજ્ય સરકારે આ સમસ્યા દૂર કરવા રૂ 40 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2025માં જાહેર થયો હતો. જે કામ 3 મહિના પછી શરૂ થવાનું હતું અને 18 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો. તેમાં રેલવે તંત્રની મંજૂરી, જમીન સંપાદન અને ટેન્ડરિંગની કામગીરી ગત દિવાળી પહેલા પૂર્ણ થઈ ચૂકી છે અને તેની ફાઈલ પણ આખરી મંજૂરી માટે સરકારને મોકલી આપવામાં આવી છે, પણ અગમ્ય કારણોસર ત્યાં અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. પરિણામે ગત ઓક્ટોબર મહિનામાં કામ ચાલુ થઈ જવું જોઈતું હતું એ અત્યારે ડિસેમ્બર મહિનો આવ્યો છે છતાં કોઈ હલચલ પણ દેખાતી નથી. પરિણામે આખો પ્રોજેક્ટ પણ માર્ચ- 2027 સુધીમાં પૂર્ણ થવાનો ટાર્ગેટ હતો, એ પણ પરિપૂર્ણ થાય એમ નથી.








