Gujarat

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય

By GS TEAM
22 Mar 20261 min read
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય

મકરપુરાથી સુસેન સર્કલ તરફના માર્ગ ૫૨ છેલ્લા ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યુંછે. ૧૨ થી ૧૫ ફૂટ ઊંડી આ ખુલ્લી ગટર ચેમ્બર કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે, તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરાયું નથી.

ગઈકાલે જ મ્યુનિ. કોર્પોરેશનની દબાણ શાખા આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી. અધિકારીઓ ત્યાં હાજર હોવા છતાં તૂટેલું ગટરનું ઢાંકણું તેમની નજરે કેમ ન ચઢ્યું, તે અંગે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે.

તંત્રની રાહ જોયા વગર સ્થાનિક લોકોએ આજે ખુલ્લી ગટર ચેમ્બરની ચારે બાજુ પથ્થરો ગોઠવી અને બોર્ડ મૂકી, આવ-જા કરતા લોકોને સાવધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને વાહનોની ભારે અવરજવર રહે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધુ છે.

વધુમાં જણાવ્યું હતું કે, ખુલ્લી ગટર ચેમ્બરમાં પડી જવાથી અગાઉ એક યુવાનનો જીવ ગયો છે. આ ખુલ્લી ગટર ફરી એક વખત કોઈનો ભોગ ન લે, તે માટે અમે જ પ્રબંધ કર્યો છે, અને મ્યુનિ. કોર્પોરેશન પાસે માગ કરી છે કે, તૂટેલા ઢાંકણાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ સાથે ચેડા ન થાય.