Gujarat

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું

By GS TEAM
8 Oct 20251 min read
ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું

- પુલનું કામ એક વર્ષથી ખોરંભે પડયું

- 300 વિદ્યાર્થી સહિત 5 ગામના લોકોને અવર- જવર માટે હાલાકી : બ્રિજ સત્વરે બનાવવા માંગ

ઠાસરા : ઠાસરા તાલુકાના વણોતીથી ડાકોર તરફ જવાનો પૂલનું કામ એક વર્ષથી ખોરંભે પડયું છે. ત્યારે શેઢી નદીમાં પૂર આવવાથી ડાયવર્ઝન ધોવાઈ જતા હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ઠાસરા તાલુકાના વણોતી ગામના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અડધો કિ.મી. દૂર આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટેનો ટૂંકો રસ્તો શેઢી નદી ઉપરથી પસાર થાય છે. નદીમાં પાઈપો નાખી જનતા માટે કામચલાઉં નાળું બનાવાયું હતું. નદીમાં ૩થી ૪ વખત પૂર આવવાથી પાઈપ પરનો સ્લેબ ધોવાઈ જતા વણોતીથી ડાકોર તરફ તરફ જવાનું ડાયવર્ઝનના ધોવાણથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નદીમાં હાલ પાણીનો પ્રવાહ ચાલુ છે. 

ત્યારે અહીંથી પસાર થવામાં લોકોના જીવનું જોખમ રહેલું છે. વણોતી સામ સાથે પીલોલ, રસુલપુર, ઓવરંગપુરાના લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે એક તરફ પૂલ બનતો નથી અને નદી પર ઉભા કરાયેલા પીલરો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ત્યારે પાંચ ગામના લોકો પૂલના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે પૂલનીની કામગીરી શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે.