કાર્યકર લખન દરબાર સમક્ષ પાદરાના DE નો 3 વર્ષ પહેલાં એકરાર..ગંભીરા બ્રિજ લાંબો નહિ ચાલે, મોટો અકસ્માત થવાનો છે

વડોદરાઃ મહીસાગર પરનો મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડે તેમ હોવાથી આ બ્રિજ તાત્કાલિક બંધ કરવા માટે જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે લખેલા પત્રની કોઇ અસર નહિ પડતાં તેમણે કરણી સેનાના યુવા પ્રદેશ અધ્યક્ષ લખન દરબારને જાણ કરી હતી.લખન દરબારે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ પર જઇ વિરોધ પણ કર્યો હતો અને બ્રિજ સંભાળતા પાદરાના ડેપ્યુટી એન્જિનિયર ડીઆર મિસ્ત્રી સાથે વર્ષ-૨૦૨૨માં વાતચીત કરી ત્યારે એન્જિનિયરે પણ બ્રિજ તૂટી પડશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.ત્રણ વર્ષ પહેલાંની બંને વચ્ચેની વાતચીતના અંશ નીચે મુજબ છે.
લખન દરબારઃ સાહેબ,હું લખન દરબાર બોલું છું.કેટલા દિવસથી ફોન કરું છું.અમારા જિ.પં.ના સદસ્ય હર્ષદસિંહે બ્રિજ માટે રજૂઆત કરી છે.તમે ફોન લેતા નથી.લોકોના જીવનું જોખમ છે.કાંઇ તો કરો.
એન્જિનિયર મિસ્ત્રીઃમારા ઉપરી સાહેબ (કાર્યપાલક એન્જિનિયર)ને નવો બ્રિજ કે રિપેરિંગ માટે ફરી દરખાસ્ત મોકલી છે.ડિઝાઇન સેલને બોલાવ્યો છે.
લખનઃ સાહેબ,આ બ્રિજ લાંબો ચાલે તેમ લાગતું નથી.
એન્જિનિયરઃ આપણને તો લાગે છે કે બ્રિજ લાંબો સમય નહિ કાઢે.પણ આમ કહેવાય નહિ.
લખનઃ કેટલો વખત થઇ ગયો,રસ્તો તો કાઢી આપો.ક્યા ડિપાર્ટમેન્ટમાં કહેવાનુંછે.
એન્જિનિયરઃ બ્રિજ તાત્કાલિક બંધ કેવી રીતે થઇ શકે.કોઇ વાર મોટો અકસ્માત થઇ જવાનો છે.
લખનઃહું વિનંતી કરું છું.૧૦-૧૫ દિવસથી ફોન કરું છું.ફોન તો ઉપાડો.
એન્જિનિયરઃ ફોન આમ તેમ મુકેલો હોય તો બની શકે.તમે કાગળ પણ આપી શકો છો.
લખનઃ કેટલા દિવસ થશે ?
એન્જિનિયરઃ ગાંધીનગરથી નક્કી થાય છે.
લખનઃતમે જવાબદાર છો,ક્યો હોદ્દો ધરાવો છો.
એન્જિનિયરઃ જવાબદાર ખરો.મેં ડિઝાઇન ટીમને બોલાવી છે.આજે જ ગાંધીનગર જવાનો છું.









