એ વિમાનમાં લંડનથી જામનગર આવેલી દીકરી અને જમાઈ પણ હતા
- બીમાર પિતાના ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા
- ત્રણ વર્ષ પહેલાં યુવાન પુત્ર પણ પ્લેન ક્રેશનો ભોગ બન્યો હતો; ડો.બક્ષી સહિત પરિવારજનોમાં ઘેરી ચિંતા
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને આજે પરોઢિયે જ જામનગરથી નીકળ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટોમાં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષભાઈ અને નેહલબેનને સંતાનમાં એક માત્ર પુત્ર હિત હતો. જે લંડનમાં વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો. અને તેની તાલીમના આખરી તબક્કામાં એટલે કે છેલ્લી કલાકની ઉડાન બાકી હતી ત્યારે આશરે ત્રણેક વર્ષ પહેલા સ્પેનમાં તેનું વિમાન ક્રેશ થયુ હતું. જેમાં હિતનું મૃત્યુ થયું હતું. એ સમયે હિતની ઉંમર ૨૬ વર્ષની હતી.
આમ હિતનું ૨૬ વર્ષ ની ઉંમરે વિમાન ક્રેશ થતાં મૃત્યુ થયું જયારે આજે પણ વિમાન દુર્ઘટના થતા તેમાં હિતના માતા પિતા પણ મુસાફરી કરતા હતા.
આ સમાચાર મળતાંજ નેહલબેનના પિતરાઈ ભાઈ જામનગરના જાણીતા તબીબ ડો.કેયુર બક્ષી ઉપરાંત આશિષભાઈ બક્ષી અમદાવાદ જવા રવાના થયા હતા. પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.