૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન હવે કોર્પોરેશન હાથ પર લેશે
સોમ-મંગળથી આ મુદ્દે ચર્ચા શરૃ કરાશે : આત્મવિલોપનની ચીમકી આપતા જવાબ લીધો
વડોદરા,વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૃ કરવામાં આવી છે.
સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે આજ રોજ અમને સમિતિની ઓફિસમાં બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તમારી જે માગણી છે તે અંગે કોર્પોરેશન સાથે સંકલનમાં છીએ અને કોર્પોરેશનમાં તમામ વિગતો અપાઇ છે. મ્યુનિ.કમિશનર સોમવાર કે મંગળવારથી આ પ્રશ્ન હાથ પર લઇ ચર્ચા વિચારણા શરૃ કરનાર છે, પરંતુ અમને જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઊઠવાના નથી. અમે છેવટે આખરી ઉપાય તરીકે સામૂહિક આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપતા પોલીસમાંથી અમારો જવાબ લેવામાં આવ્યો હતો. છેલ્લા ૩૨ વર્ષથી અમારી લડાઇ ચાલુ છે અને અત્યાર સુધી અસંખ્ય વખત આવેદનપત્રો આપ્યા છે અને હડતાળો પાડી છે, પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. ૫૭૦ કર્મચારીઓમાંથી હાલ માત્ર ૧૦૫ કર્મચારીઓ કામ કરે છે. જેઓ બધાં ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઇ જવાના છે. અમારી માગણી કાયમી કરી કાયમી રાહે પગાર અને પેન્શનની છે. નિવૃત્ત થઇ ગયેલા ઘણા કર્મચારીઓની આર્થિક હાલત કંગાળ છે અને એક મહિલા તો ભીખ માગે છે.