પાવર ઓફ એર્ટનીના આધારે દસ્તાવેજ નોંધાવનારાઓની હાલત કફોડી થશે
- ગમે તેટલી જુની પાવર ઓફ એટર્નીમાં જેણે પાવર આપ્યો છે તેનું સોગંદનામું રજૂ કરાશે તો જ દસ્તાવેજની નોંધણી થશે
સુરત
પાવર ઓફ એર્ટનીના આધારે થતા દસ્તાવેજની નોંધણીમાં પાવર ગમે તેટલા વર્ષો જુનો હોય, પરંતુ પાવર ઓફ એર્ટની આપનારનું હાલનું હયાતીનું સોંગદનામુ રજુ કરવાના થયેલા આદેશનો સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થતા પાવર ઓફ એર્ટનીના આધારે લાખો કરોડો રૃપિયાની સ્થાવર-જંગમ મિલ્કત ખરીદનારાઓની હાલત કફોડી થવા પામી છે.
સુરત શહેર કે જિલ્લામાં આવેલી લાખો કરોડો રૃપિયાની મિલ્કત હવે પાવર ઓફ એર્ટનીના આધારે ખરીદતા પહેલા સો વખત વિચાર કરવો પડે તેવો સમય આવી ગયો છે. અત્યાર સુધીમાં જેમનો દસ્તાવેજ પાવર ઓફ એર્ટનીના આધારે થતો હતો. તેમાં પાવર આપનાર નહીં, પરંતુ જેના નામનો પાવર આપ્યો હોઇ તે સોંગદનામું રજુ કરે કે મને પાવર આપ્યો છે. એટલે દસ્તાવેજ થઇ જતો હતો. જેમાં જુની પાવર ઓફ એર્ટનીના આધારે પણ દસ્તાવેજ થતા હોવાથી અનેક ફરિયાદો ઉઠવાની સાથે તકરારી કેસો પણ વધ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા રજિસ્ટ્રેશન એકટમાં જ સુધારો કરી દઇને તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પરિપત્ર જારી કરી દીધો છે કે હવે કોઇ પણ પાવર ઓફ એર્ટનીના આધારે દસ્તાવેજોની નોંધણી થશે, ત્યારે જેના નામે પાવર આપ્યો છે. તેણે નહીં, પરંતુ જેણે પાવર ઓફ એર્ટની લખી આપી છે તેણે હયાતીનું સોંગદનામું કરવુ પડશે. આ સોંગદનામુ હશે તો જ દસ્તાવેજ નોંધણી થશે. નહીંતર દસ્તાવેજ નોંધણી માટે મુલતવી રખાશે.
આ પરિપત્રના કારણે જેમણે પાવર ઓફ એર્ટનીના આધારે દસ્તાવેજ કરવાનું નક્કી કર્યુ હોઇ કે અગાઉના વર્ષોમાં પાવર ઓફ એર્ટની લીધી હોઇ તે તમામે દસ્તાવેજ કરતા પહેલા ફરજિયાત હયાતીનું સોંગદનામું લેવા દોડવુ પડશે. જેના કારણે લાખો-કરોડો રૃપિયા ખર્ચીને મિલ્કત ખરીદનારાઓનું ટેન્શન વધી ગયુ છે. કેમકે એકવાર પાવર લીધા પછી પણ હયાતીનું સોંગદનામું લેવા જવુ પડશે.
વિદેશમાં એકિઝકયુટ થયેલા પાવરનું સોંગદનામું એક મહિનામાં રજુ કરવાનું રહેશે
સુરત
શહેર કે જિલ્લામાં કોઇ પણ મિલ્કત હશે અને આ મિલ્કતના પાવરદાર વિદેશમાં રહેતા હશે. અને
વિદેશમાં પાવર એકિઝકયુટ થયો હશે તો તેવા કિસ્સામાં દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટ્રાર
કચેરીમાં આવશે તો એક મહિના સુધી નોંધણી વગર મુલત્વી રાખવામાં આવશે. આ એક મહિનામાં વિદેશમાં
રહેનારા પાવરદારનું હયાતીનું સોંગદનામું રજુ કરવુ પડશે. જો રજુ નહીં થશે તો દસ્તાવેજ
નોંધણી વગર રદ કરી દેવામાં આવશે.
સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થઇ ગઇ છે
રાજય
સરકારના પરિપત્રનો સુરત શહેર અને જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થઇ
ચૂકી છે. આ અંગે વધુ માહિતી આપતા સુરત જિલ્લા નોંધણી સર નિરીક્ષક સંદીપ સવાણીના
જણાવ્યા મુજબ નવા પરિપત્રના કારણે ઘણી સરળતાઓ થશે. અને જે તકરારી કેસો વધી રહ્યા
છે. તેમાં પણ ઘટાડો થશે. કેમકે હવે પાવર આપનારનું સોંગદનામુ ફરજિયાત આપવુ પડશે. તો
જ દસ્તાવેજ નોંધણી થશે.