ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકા નગરીએ અનેરા શણગાર સજ્યા
દ્વારકાધીશજી મંદિર મનમોહક રોશનીથી ઝળહળ્યું મુખ્ય રસ્તા, શેરીઓ ધજા-પતાકાથી શોભી ઉઠયાઃ ઈસ્કોનગેટ, રબારીગેટ, સરકારી કચેરીઓ, હોટલો પણ રોશનીથી ઝગમગી ઉઠી
દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા દ્વારકા નગરીએ શણગાર સજ્યા છે. દ્વારકાધીશજી જગતમંદિરે રોશનીના દિવ્ય શણગાર કરાયા છે. તે ઉપરાંત ઈસ્કોનગેટ, રબારીગેટ, સરકારી કચેરીઓ, હોટલો પણ લાઇટીંગથી ઝગમગી ઉઠી છે. યાત્રાધામના મુખ્ય રસ્તા,રોડ પણ ધજા-પતાકાના શણગારથી શોભી ઉઠયા છે.
યાત્રાધામ દ્વારકામાં તા. 7ના રોજ જન્માષ્ટમી ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જગતમંદિર અને દ્વારકા શહેર રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણનીકર્મભૂંમી અને ભારતના ચાર ધામ પૈકીનુ એકધામ અને સપ્તપુરીમાનું એક એવી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશજીએ ૧૦૦ વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. જગ વિખ્યાત દ્વારકાધીશજી મંદિરે જન્માષ્ટમીનું અનેરૂ મહત્વ હોવાથી અહિયા જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન હજારો ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જરૂરીયાતો પુરી પાડવા વહીવટી તંત્રએ કમર કસી છે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત જગત મંદિર પટાગણમાં આવેલ અન્ય ૧૬ મંદિરો પણ લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે.
જન્માષ્ટમીના દિવસો દરમ્યાન લાખો ભાવિકો દ્વારકા આવનાર હોય જગત મંદિર સુરક્ષાના ડીવાય એસ પી સમીર શારડાના નેજા હેઠળ પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ભાવિકોને શાંતીથી દર્શન થાય તે માટે મંદિરમાં જવા આવવાની વિશેષ અલગ અલગ માર્ગ બનાવામાં આવ્યા છે. તેમજ માહિતી કંટ્રોલરૂમ પણ ઉભા કરવામાં આવ્યા છે. દેશ વિદેશથી આવતા યાત્રિકોને દ્વારકાધીશજી મંદિર વિશે માહિતી મળતી રહે તે માટે મંદિર પરીસર તે ઉપરાંત એન્ટ્રી ગેટ પાસે માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.