Get The App

મુખ્યમંત્રીએ અમદાવાદ, જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. 739 કરોડ મંજૂર કર્યા

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
મુખ્યમંત્રીએ અમદાવાદ, જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. 739 કરોડ મંજૂર કર્યા 1 - image

- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને 238 કામો માટે રૂ. 736.10 કરોડ અને જામનગર મહાનગરને રૂ. 2.72 કરોડ 

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરમાં કુલ 738.82 કરોડ રૂપિયાના આંતરમાળખાકીય વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2021-22ના વર્ષ માટે આ બે મહાનગરપાલિકાઓ દ્વારા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ વર્ક્સ માટે શહેરી વિકાસ વિભાગ તરફથી મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી. તદ્દઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ-ભૌતિક આંતરમાળખાકીય વિકાસના 217 કામો માટે 567.76 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

આ 217કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, એસ.ટી.પી, સુએઝ નેટવર્ક, અલગ અલગ 7 ઝોનમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, પાણીની લાઇન, બોરના કામ, રોડ રિસરફેસીંગ, થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ લગાવવાના કામો વગેરેનો સમાવેશ થાય છે. 

ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સામાજીક આંતરમાળખાકીય વિકાસમાં હોસ્પિટલ બિલ્ડીંગ, મેડીકલ ઇક્વીપમેન્ટસ ખરીદી, કોમ્યુનિટી હોલ, કોવિડ-19 સંલગ્ન આઇ.સી.યુ બેડ, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, અર્બન હેલ્થ સેન્ટર જેવા 19 કામો માટે 162.84 કરોડ રૂપિયા અમદાવાદ મહાપાલિકાને ફાળવ્યા છે. 

તેમણે અર્બન મોબિલીટીના કામો અંતર્ગત બે કામો માટે 5.50 કરોડની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કરી છે. 

આમ, મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને સમગ્રતયા 238 કામો માટે 736.10 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

એટલું જ નહિ, જામનગર મહાનગરપાલિકામાં પણ આંતરમાળખાકીય વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 2.72 કરોડ રૂપિયા વોર્ડ નં.15 ગ્રીન સિટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા છે. 

મુખ્યમંત્રીએ મંજૂર કરેલા આંતરમાળખાકીય વિકાસના આ વિવિધ કામો હાથ ધરાવાને પરિણામે આ મહાનગરોમાં નાગરિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.