કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ
- છકડો રિક્ષા પસાર થઈ ત્યારે પાણી ઓછું હતું : ઉપરવાસમાં વરસાદ પડતા
- કિનારે ઉભેલા લોકોએ દોરડું ફેંક્યું અને કાર ખેંચવાનો પ્રયાસ પણ કર્યો હતો : અપૂર્વપુરૂષદાસ સ્વામિએ સાળંગપુર ખાતે સંતોને જાણ કરી
કરૂણાંતિકા વિશે સાળંગપુર બીએપીએસ મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર કાર નાળા પાસે પહોંચી ત્યારે ડીપમાં થોડું પાણી ભરાયેલું હતું. આથી તેઓ નાળાના કિનારે ઉભા રહી ગયા હતા. એવા સમયે અહીં કોઈની પ્રતિક્ષામાં ઉભેલા છકડો રિક્ષાના ચાલકે તેમને જણાવ્યું કે, સામાન્ય પાણી છે, નીકળી જવાશે. જોકે, તેમની વાત સાચી હતી. પાણઈ ઓછું જ હતું. કારણ કે, છકડો રિક્ષા ચાલક તેમાંથી પસાર થઈને આવ્યા હતા. આથી દિવ્યેશભાઈએ કાર નાળામાં ચલાવવાની હિંમત કરી. પ્રવાહ ઓછો હતો એટલે વાંધો જણાતો નહોતો. પરંતુ કાર નાળામાં અધવચ્ચે પહોંચી ત્યારે પ્રવાહને કારણે ઉભી રહી ગઈ. આથી તેમણે અને સાથેના યાત્રીઓએ ફોન દ્વારા લોકોની મદદ માગી. કિનારે ઉભેલા લોકોએ દોરડું ફેંક્યું. દોરડું બાંધીને કાર ખેંચવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ એ જ વખતે ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. કારમાં બેઠેલા અપૂર્વપુરૂષદાસ સ્વામિએ સાળંગપુર ખાતે સંતોને ફોન કર્યો. આ દરમિયાન ગોધાવટા ગામના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સૌએ પ્રયાસ કર્યો અને કારને રિવર્સ લેવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતા કાર તણાવા લાગી હતી. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.