રાજકોટ એરપોર્ટમાં ગત ચોમાસામાં કેનોપી ધસી પડયું અને હવે ચુવાંક
સાંસદો એક વર્ષમાં એક એરપોર્ટનું તંત્ર સુધારી ન શક્યા : પ્રજાના રૂ।. 1400 કરોડનું આંધણ પણ પ્રજાલક્ષી તંત્રનો અભાવ, શિયાળુ પછી ઉનાળુ સત્ર પૂરૂં છતાં વિદેશોની ફ્લાઈટ શરૂ ન થઈ
રાજકોટ, : રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને એક મહત્વની સુવિધા આપવા જૂલાઈ- 2023માં શહેરથી 30 કિ.મી.અમદાવાદ હાઈવે પર હીરાસર પાસે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયું હતું. રૂ।. 1400 કરોડના તોતિંગ ખર્ચથી તૈયાર થયેલ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં અબજો રૂ।.ના ખર્ચની સાથે ડાયરેક્ટર સહિત ઉત્સાહી,કાર્યક્ષમ,ચીવટવાળા અધિકારીઓની તંગી દૂર ન કરી શકાઈ હોય તેમ ગત વર્ષે ચોમાસાના આરંભે એરપોર્ટનું કેનોપી ધસી પડયું હતું અને આ ચોમાસાના આરંભે તેમાં વરસાદી પાણી ટપકતાં ગૌરવને બદલે શરમ અનુભવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પાણીના કારણે ફરસ લપસણી થઈ જતા ત્યાં કુંડા મુકીને અવરજવર અટકાવવામાં આવી હતી. બેફામ ખર્ચ કરવામાં કોઈ કચાશ નથી રાખી પણ સામાન્ય સુવિધા આપવામાં પણ એરપોર્ટ તંત્રની કચાશ વારંવાર છતી થાય છે અને લોકોમાં નારાજગી પ્રસરી છે. રૂ।.326 કરોડના ખર્ચે નવુ ટર્મીનલ પણ બની ગયું અને ટર્મીનલના કન્વેયર બેલ્ટ પાસે વરસાદના આરંભે જ પાણી ટપકવા લાગ્યું હતું. નામ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે પરંતુ, ગત શિયાળુ સત્રમાં અને તે પહેલા દિવાળી આસપાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની વાતો વચ્ચે હજુ એક પણ ફ્લાઈટ વિદેશ જવા માટે શરૂ કરાઈ નથી. રાજકોટના સાંસદ અને એરપોર્ટ મોરબી,વાંકાનેર,સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોને પણ લાગુ છે