Get The App

ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત 1 - image

- પાણીના અભાવે 2000 વીઘામાં સિંચાઈના પશ્નો

- વાંઘરોલી, જરગાલ, ધોરાની મુવાડી અને સણાંદરા ગામના ખેડૂતોને ભારે હાલાકી

ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી, જરગાલ, ધોરાની મુવાડી અને સણાંદરા ગામના ખેડૂતો હાલમાં પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. આઝાદી પૂર્વે અંગ્રેજો દ્વારા નિમત ૯૯૯ વીઘાના વિશાળ તળાવમાંથી મળતું સિંચાઈનું પાણી હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતું નથી. છેલ્લા ૧૫ વર્ષથી નહેર અને સબ-માઇનોરની સાફ-સફાઈ ન થતા, ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

એક સમયે જ્યારે નર્મદાની મુખ્ય નહેર નહોતી, ત્યારે આ વિશાળ તળાવ અને તેમાંથી નીકળતી સબ-માઇનોર નહેરો જ આ ચાર ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન હતી. નહેર દ્વારા પાણી સીધું ખેતરોમાં પહોંચતું હતું. જોકે, નર્મદાની મુખ્ય નહેર આ સબ-માઇનોરની ઉપરથી પસાર થયા બાદ, સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આ નહેર સંપૂર્ણપણે ભૂલાઈ ગઈ છે. છેલ્લા ૧૫ વર્ષથી નહેરની સફાઈ કરવામાં ન આવતા, તેમાં મોટા ઝાડ, જંગલી વનસ્પતિઓ અને ગાઢ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેના કારણે તળાવનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી. જેના કારણે ૨૦૦થી વધુ ખેડૂતોની ૨૦૦૦ વીઘાથી વધુ જમીનમાં સિંચાઈના પાણીના પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોની એવી લાગણી છે કે, સિંચાઈ વિભાગ કે નર્મદા વિભાગના અધિકારીઓ હવે પોતાની નિષ્ક્રિયતા છોડી, ત્વરિત ધોરણે સબ-માઇનોર અને કાંસની સાફ-સફાઈ કરાવે. જો આ કામગીરી વહેલી તકે નહીં થાય, તો ખેડૂતોએ આથક રીતે પાયમાલ થવાનો વારો આવશે.