Gujarat

10 લાખનો લૂંટ કેસઃ વારસીયામાં લૂંટાયેલા વેપારીએ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ રિન્યૂ કર્યું નહતું

By GS TEAM
21 Jan 20261 min read
10 લાખનો લૂંટ કેસઃ વારસીયામાં લૂંટાયેલા વેપારીએ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ રિન્યૂ કર્યું નહતું

વડોદરાઃ હરણી-વારસિયા રિંગરોડ પર વેપારી પર હુમલો કરી ૧૦ લાખ લૂંટનાર લૂંટારા પાસે ૧૯ દેશોની કુલ રૃ.૨.૫૪ કરોડની કરન્સી મળી આવવાના બનાવમાં લૂંટાયેલા વેપારી પાસે કરન્સી ક્યાંથી આવી તેની તપાસ કરતી પોલીસને કેટલીક મહત્વની વિગતો ધ્યાને આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,લૂંટારાઓ પાસે મળેલું વિદેશી ચલણ વેપારી લીલારામનું હોવાની વિગતો ખૂલ્યા બાદ વધુ તપાસ દરમિયાન વેપારી પાસે ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ વર્ષ-૨૦૨૧ બાદ રિન્યૂ નહિ કરાવ્યું હોવાની માહિતી બહાર આવી છે.જેથી આ કરન્સી બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે.

બીજીતરફ પોલીસ દ્વારા શહેરની બેન્કો પાસે પણ વેપારીના બેન્ક એકાઉન્ટને લગતી માહિતી મેળવવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.જ્યારે,લૂંટ અને કરન્સીના સમાંતર તપાસ માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલની કોલ્સ ડીટેલ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.

લૂંટના બનાવમાં પોલીસની ટીમો દ્વારા વિનોદને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે.વિનોદ પકડાય તો લૂંટના બીજા બનાવોમાં લૂંટારાઓની સંડોવણી છે કે કેમ તેની પણ માહિતી બહાર આવશે.