Gujarat

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

By GS TEAM
13 Jul 20252 mins read
કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

- પુલ પર બેફામ ભારે વાહનોની અવરજવર

- પુલ પર લોખંડના સળિયા બહાર આવી જતા સમારકામ કરાયું હતું, વનસ્પતિ ઉગી નિકળી 

કપડવંજ : કપજવંજના વાઘાવત નજીક વાત્રક નદીના પુલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં બેફામ ઓવરલોડ વાહનોની અવરજવર થઇ રહી છે.ગંભીર પુલ દુર્ઘટના જેવી ઘટના ન સર્જાય તે માટે તાકિદે પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

તાલુકાના વાઘાવત પાસે વાત્રક નદીના પુલ પરથી સળિયા બહાર આવી જતા તંત્ર દોડ્તુ થયું હતું અને સળિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પુલ પરથી વનસ્પતિ પણ ઉગી નિકળી હતી. સાઇડમાં માટીના જામેલા થર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પુલની કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. આ પુલ પર વાત્રક નદીની રેતીની લીઝ ધારકો દ્વારા રાત દિવસ ભારે વાહનોની આવરજવર રહે છે અને ઓવરલોડ વાહનોની અવરજવર છતાં કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી ન હોવાના પણ આક્ષેપો થયા છે. પુલ જર્જરિત થતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવો માગણી ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પુલની મજબૂતાઇની ચકાસણી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે. 

પુલની ચકાસણી માટે ગાંધીનગરથી ટીમ આવશે : ના. કાર્યપાલક ઇજનેર

આ બાબતે બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મિલન પંડયાએ જણાવ્યુ છે કે, આ બ્રિજ અંદાજે ૨૦૦૬ કે ૨૦૦૭ માં બન્યો હશે. આ પુલના સુરક્ષાની ચકાસણી માટે ભાગરૂપે ગાંધીનગરથી ટીમ આપવાની છે.