પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અર્જુન પટોળીયાનો મૃતદેહ વડિયા પહોંચ્યો, અંતિમવિધી યોજાઇ
ગામે અડધો દિવસ બંધ પાળ્યો : શોકનો માહોલ વરસતા વરસાદમાં અંતિમયાત્રામાં આગેવાનો, મોટી સંખ્યામાં ગામલોકો જોડાયા 18 દિવસના ગાળામાં બે દીકરીઓએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી
વડિયા, અમરેલી, : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અર્જુનભાઈ પટોળીયાનો મૃતદેહ તેમના વતન વડિયા ખાતે વહિવટી તંત્ર દ્વારા લાવી આજે તેમના પરિવારને સોંપ્યો હતો.બપોર પછી વરસતા વરસાદ વચ્ચે તેમની અંતિમયાત્રા યોજાઇ હતી. ગામે અડધો દિવસ બંધ પાળ્યો હતો. ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. અમદાવાદથી લંડન જતી ફલાઇટની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડિયાના 33 વર્ષિય અર્જુનભાઈ મનોજભાઇ પટોળીયાનો પાર્થિવ દેહ આજે વતન વડિયા પહોંચ્યો હતો. બપોર પછી વરસતા વરસાદ વચ્ચે તેમની અંતિમયાત્રા યોજાઇ હતી. તેમાં તેમના માતા, ભાઈ સહિતના પરિવારજનો, ઉપરાંત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, આગેવાનો તથા ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામે અડધો દિવસ શોકમય બંધ પાળ્યો હતો.
વડિયાના વતની અર્જુનભાઈ પટોળીયા છેલ્લા થોડા વર્ષોથી લંડન સ્થાયી થયા હતા. તેમના પત્ની ભારતીબેન પટોળીયાનું બીમારી સબબ તા. ૨૬ મેના નિધન થતા તેમની ઇચ્છા અનુસાર તેમની અમુક વિધિ વતન વડિયામાં પૂરી કરવા માટે અર્જુનભાઈ તેમની 4 અને 8 વર્ષની દીકરીઓને પોતાના ભાઈ ગોપાલ પાસે લંડન મૂકી વડિયા આવ્યા હતા. તેમના પત્નીનું બેસણું 2 જૂને વડિયામાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ અસ્થિ વિસર્જન સહિતની તમામ વિધિ પૂર્ણ કરી તેઓ તા. 12ના લંડન જવા અમદાવાદથી ફલાઇટમાં નિકળ્યા હતાં. અને દુર્ઘટનામાં મોતને ભેટયા હતાં.માત્ર 18 દિવસના ગાળામાં જ બે માસૂમ દીકરીઓએ તેમના માતા અને પિતા બન્ને ગુમાવ્યા હતા.
અર્જુનભાઈના માતાની 16મીની ટિકિટ થતા બચાવ થયો
પત્નીના મૃત્યુ પછીની વિધિ માટે વડિયા આવેલા અર્જુનભાઈ તેમના માતા કંચનબેનને પણ તેમની સાથે લંડન લઇ જવાના હતા. પરંતુ માતાની 12મીની ટિકિટ સંજોગોવસાત કન્ફર્મ ન થઇ. તેથી તેમના માતા 16મી જૂને લંડન જવાના હતાં. આમ તેમના માતાનો બચાવ થયો હતો.