Get The App

ડાકોરની મહિલાના પાર્થિવદેહને સન્માન સાથે નિવાસ સ્થાને લવાયો

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ડાકોરની મહિલાના પાર્થિવદેહને સન્માન સાથે નિવાસ સ્થાને લવાયો 1 - image


- અમદાવાદ પ્લેન ક્રેશમાં અકાળે મૃત્યુ પામેલી

- લંડનથી આવેલા પુત્રએ માતાને મુખાગ્નિ આપી : અંતિમયાત્રામાં જિલ્લા તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડાકોર : અમદાવાદના પ્લેન ક્રેશમાં ડાકોરના પૂર્ણિમાબહેન પટેલના પાર્થિવદેહને આજે સન્માન પૂર્વક તેમના નિવાસ સ્થાને પરિવારજનોને જિલ્લા વહિવટી તંત્રએ સોંપ્યો હતો. ત્યારે ઘરેથી સાંજે પાંચ વાગે અંતિમયાત્રા નીકળી ડાકોરના મુક્તિધામમાં પહોંચી હતી. જ્યાં લંડનથી આવેલા પુત્રએ મુખાગ્નિ આપી માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. ડાકોરની ધરતી રેસિડેન્સીમાં રહેતા પૂર્ણિમાબહેન પ્રકાશભાઈ પટેલ પુત્ર મિતેશને મળવા લંડન જતા હતા. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ વાસદ રહેતી પુત્રી કિંજલબેન પટેલના ડીએનએ મેચ થતા પૂર્ણિમાબહેનના મૃતદેહની ઓળખવિધિ સંપન્ન થઈ હતી. લંડન રહેતો પુત્ર મિતેષ પટેલ તા. ૧૪મીને શનિવારે અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો. બાદમાં સવારે ૬.૩૦ વાગ્યે વતન ડાકોર પોતાના નિવાસસ્થાને પહોંચ્યો હતો. ડાકોર નિવાસ સ્થાને પડોશીઓ, સ્વજનો સહિત પરિવારજનો પૂર્ણિમાબહેનના મૃતદેહની રાહ જોતા ગમગિની છવાયેલી હતી. જિલ્લા તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિતની ટીમે પૂર્ણિમાબહેનના પાર્થિવદેહને સન્માન સાથે ડાકોર ખાતે લાવી પરિવારજનોને લગભગ ૪.૩૦ કલાકે સોંપી દીધો હતો. ડાકોર ધરતી રેસિડેન્સીના નિવાસ સ્થાનેથી લગભગ સાંજે ૫ કલાકે પૂર્ણિમાબહેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડાકોર દત્તાત્રેય મંદિર પાસે આવેલા મુક્તિધામ ખાતે લંડનથી આવેલા પુત્રએ માતાને મુખાગ્નિ આપી અંતિમસંસ્કાર કર્યા હતા. 

Tags :