- વણઝારાવાસમાં રહેતા રતીલાલને દારુની ટેવ અને માનસિક તકલીફ હતી : નહાવા જતા ડૂબી ગયાની શક્યતા
સુરત,:
અમરોલીમાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની આજે સવારે અમરોલી છાપરા ભાઠા ખાતે નદી માંથી લાશ મળી આવી હતી.
ફાયર બ્રિગેડ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીમાં છાપરા ભાઠામાં વણજારાવાસમાં રહેતો ૪૦ વર્ષીય રતીલાલ અંબાજીભાઇ વણજારા ગત તા.૩જી ઘરે કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો. તે મોડી સાંજ સુધી ઘરે નહી આવતા તેના પરિવાર તથા સંબંધીઓ તેની શોધખોળ કરતા ભાળ મળી ન હતી. તેથી તેના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં તે ગુમ થવા અંગે જાણ કરી હતી. દરમિયાન આજે સવારે અમરોલીમાં છાપરા ભાઠા રોડ પર સ્વામી નારાયણ મંદિર પાસે તાપી નદી માંથી તેની લાશ મળી આવી હતી. ફાયરબ્રિગેડે મૃતદેહ કાઢીને સિંગણપોર પોલીસને સોંપ્યો હતો. પોલીસે જણાવ્યું કે, રતિલાલને દારુ પીવાની ટેવ હતી અને માસનિક તકલીફ હતી. નદીમાં નહાવા જતા ડૂબી ગયાની શક્યતા છે. તેને બે સંતાન છે.


