- લગ્નના 20 વર્ષ બાદ દંપતીને ત્યાં પારણું બંધાયું પરંતુ ડાયાબિટીસે મોભીની દ્રષ્ટિ છીનવી: પત્ની કટલરી વેચીને ભરણપોષણ કરે છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
બે વર્ષના કોરોનાકાળમાં માનવતાના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. કોરોના વોરિયર્સ ડૉક્ટર,નર્સ અને મેડિકલ કર્મીઓએ પરિવારની જેમ દર્દીઓની સેવા કરી છે. આ વચ્ચે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલ 48 વર્ષીય અંધ નંદુરબારથી આવ્યા છે. જેમને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પોતાના હાથે જમાડી રહ્યા છે.
મહારાષ્ટ્રના નંદુરબાર,ધુલિયા અને જલગાંવ થી કોરોના પોઝિટિવ દર્દીઓ સુરતમાં સારવાર માટે આવ્યા છે અને તેમની સેવા કરવામાં સ્વાસ્થ્ય કર્મીઓએ કોઈ કચાશ રાખી નથી. ત્યારે નંદુરબારમાં હોસ્પિટલમાં હાર્ટએટેકના કારણે દાખલ થયેલા દર્દી અનિલ પાટીલને કોરોના પોઝિટિવ આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં 28 જાન્યુઆરીના રોજ એડમિટ કરાયા હતા. દુઃખદ વાત એ છે કે અનિલભાઈ છેલ્લા દોઢ વર્ષથી ડાયાબિટીસને કારણે અંધાપો ભોગવી રહ્યા છે. તેમને 9 અને 12 વર્ષના બે બાળકો છે. ઘરના એકમાત્ર મોભીની આ હાલત થતાં પત્ની ચિંતિત છે તો બીજી કોરોનાને કારણે ભાંગી પડ્યા છે. જોકે અગત્યની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં નર્સ દ્વારા અનિલભાઈને પોતાના હાથે જ માનવામાં આવી રહ્યા છે જેને લઇને પરિવારને થોડો હાશકારો થયો છે. સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીનું આ સ્વરૂપ અનિલભાઈને હોસ્પિટલમાં પણ પરિવારનો જ અનુભવ કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનિલભાઈ મહિના પહેલા ડ્રાઈવર તરીકેની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જોકે ડાયાબિટીસને કારણે તેઓ દ્રષ્ટીવિહિન થતા નોકરી છોડવી પડી છે.

આ અંગે અનિલભાઈના પત્ની ઉજ્જવલા પાટિલે કહ્યું કે, પતિની આ પરિસ્થિતિને કારણે હું કટલરી વેચીને ઘરનું ગુજરાન ચલાવી રહી છું. તેમને હાર્ટ અટેક આવતા નંદુરબારની હોસ્પિટલ લઈ જવાયા હતા . સારવાર દરમિયાન તમને કોરોના હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી અમે તમને એમ્બ્યુલન્સમાં સુરત લઈ આવ્યા હતા. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે હાર્ટએટેકની સારવારનો ખર્ચ તેમજ એમ્બ્યુલન્સનો 11 હજારનો ખર્ચ અમારા મોહોલ્લા(ગલી)ના લોકોએ ઉપાડ્યો છે. લગ્નના વીસ વર્ષ પછી અમને બાળકો થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સુધારા પર છે.


