સુરત, તા.20 નવેમ્બર,2019,બુધવાર
નિવૃત્ત જીવન ગાળતા વૃધ્ધ મહીલાની એફડીના વ્યાજની રકમ કરપાત્ર હોવા છતાં ખોટી રીતે ટીડીએસ કાપી લેનાર બેંકની ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજ સહિત વળતર વસુલાત માટે સુરત ગ્રાહક કોર્ટમાં ધા નાખતાં જ બેંકે સીનીયર સીટીઝન મહીલા ખાતેદારને કાપી લીધેલી રકમ પરત કરવાની ફરજ પડી છે.
સીટીલાઈટ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં એફ.ડી. ધરાવતા 82 વર્ષીય ફરિયાદી ચિત્રલેખાબેન સુબોધચંદ્ર દેસાઈની એફ.ડી.ના વ્યાજની આવક કરપાત્ર ન હોવા બેંક દ્વારા ખોટી રીતે ટીડીએસ કાપવામાં આવ્યો હતો.બેંક દ્વારા સીનીયર સીટીઝન ફરિયાદીના ખાતામાં થી તા.1-1-19 થી તા.31-3-19 ના સમયગાળા દરમિયાન કુલ રૃ.૫૩૫૬ના વ્યાજમાંથી ખોટી રીતે ટીડીએસ કપાત કરી હતી.જેથી બેંકના સ્ટેટમેન્ટ દ્વારા ફરિયાદીને જાણ થતાં વિવાદની રકમ નાની હોવા છતાં ગ્રાહકના હક્કો પ્રત્યે જાગૃ્રત મહીલા ખાતેદારે બેંકના ડેપ્યુટી મેનેજરને આ અંગે જાણ કરી હતી.ફરિયાદીએ પોતે કરપાત્ર આવક ધરાવતા ન હોવા અંગે અગાઉ ફોર્મ નં.15 એચ સહી કરીને પાનકાર્ડની નકલ સાથે બેંકને સોંપ્યું હતુ.તેમ છતાં બેંકે ખોટી રીતે ફરિયાદીની વ્યાજની રકમમાંથી ટીડીએસની રકમ કાપી હતી.જેથી વૃધ્ધ ખાતેદારે પોતાની પૌત્રી પ્રાચી શ્રેયશ દેસાઈ મારફતે બેંકની અનફેર ટ્રેડ પ્રેકટીશના મુદ્દે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.પરંતુ ગ્રાહક કોર્ટે બેંકને નોટીસ ફટકારતા બેંકના મેનેજરે ફરીયાદી મહીલા ખાતેદારના ઘરે જઈને ખોટી રીતે કાપી લીધેલી ટીડીએસની રકમ ફરિયાદીના ખાતામાં જમા કરાવી દીધી હોવાની વિગતો સાંપડી છે.

