Get The App

શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા ઉશ્કેરાયેલા વાલીએ સ્ટાફ રૃમમાં જઇ શિક્ષકને ધડાધડ લાફા માર્યા..

શિક્ષકે ફોન કરીને વાલીને સ્કૂલ પર બોલાવ્યા કે, તમારો છોકરો ગેરવર્તન કરે છે, માટે સ્કૂલમાં આવો..

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા ઉશ્કેરાયેલા વાલીએ સ્ટાફ રૃમમાં જઇ શિક્ષકને ધડાધડ લાફા માર્યા.. 1 - image

વડોદરા,માંજલપુરની શ્રેયસ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને  લાફો મારતા હોબાળો થયો હતો.  સ્કૂલમાં પહોંચેલા વાલીએ સ્ટાફ રૃમમાં જ શિક્ષકની બેરહેમીથી ધુલાઇ કરી હતી.એ  બે વચ્ચેની  મારામારીમાં અન્ય શિક્ષકો છોડાવવા વચ્ચે પડયા હતા.  ત્યારબાદ સમગ્ર મામલો  મકરપુરા પોલીસ સ્ટેશન  પહોંચ્યો હતો. જ્યાં સમાધાનના પ્રયાસો થવા છતાંય સમાધાન નહીં થતા છેવટે મકરપુરા પોલીસે બંને  પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 શ્રેયસ સ્કૂલમાં આજે સવારે બનેલી ઘટનાની  વિગત એવી છે કે, ધો. ૯ માં આજે ત્રીજો અને ચોથો પિરિયડ ડ્રોઇંગનો હતો. શિક્ષક કિરણસિંહ બારિયાએ જણાવ્યું છે કે, હું વિદ્યાર્થીઓને કલર સર્કલ બનાવવાનું શીખવાડતો હતો. દરેક વિદ્યાર્થીઓએ સર્કલ બનાવ્યું છે કે કેમ ? તે હું ચેક કરતો હતો. તે દરમિયાન એક વિદ્યાર્થીએ સર્કલ બનાવ્યું નહોતું. જેથી, મેં કહ્યું કે, તમને બધાને મેં ૧૦ વખત શીખવાડયું છે, તેમ છતાંય સર્કલ કેમ ં નથી બનાવ્યુ  ? ત્યારે વિદ્યાર્થીએ સામો જવાબ આપતા કહ્યું હતું કે, ૨૦ વાર કહું તો પણ તમારે સમજાવવું પડશે. વિદ્યાર્થી ગેરવર્તન કરતો હતો. વિદ્યાર્થીનું આવું વર્તન ચલાવી લેવાય તેવું નહીં હોવાથી મેં તેના  પેરેન્ટ્સને કોલ કરીને બોલાવ્યા હતા.

૧૫ થી ૨૦ મિનિટમાં વિદ્યાર્થીના માતા - પિતા આવી ગયા હતા. તે સમયે રિસેસ ચાલતી હોઇ વાલી તેમના ે પુત્રને મળ્યા હતા. પુત્રે  કહ્યું કે, શિક્ષકે મને માર માર્યો છે. તેથી  રોષે ભરાયેલા વાલી  સીધા સ્ટાફ રૃમમાં પહોંચી ગયા હતા. થોડીવાર બહાર ઉભા રહ્યા પછી તેઓએ એકદમ અંદર ધસી આવીને સીધા  જ  ડ્રોઇંગ  શિક્ષક પાસે જઇ કોલર પકડી લાફો ઝીંકી દઇ  વારંવાર માર માર્યો હતો. સ્ટાફ રૃમમાં બેઠેલા અન્ય શિક્ષકો દોડી આવ્યા હતા. તેઓએ ડ્રોઇંગ શિક્ષકને માંડમાંડ છોડાવ્યા હતા. 

દરમિયાન વાલીએ પોલીસને કોલ કરતા પોલીસ  પણ  પહોંચી ગઇ હતી. પોલીસ શિક્ષક  અને વાલીને લઇને મકરપુરા  પોલીસ સ્ટેશન પહોંચી હતી. 


વાલીનો આક્ષેપ ઃ શિક્ષકોએ  સ્ટાફ  રૃમનો  દરવાજો બંધ કરી મને માર માર્યો 

વડોદરા,

 વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, મારા પુત્રને શિક્ષક કિરણસિંહે સામાન્ય બાબતે લાફો મારી દીધો હતો અને ફૂટપટ્ટી વડે માર માર્યો હતો. ત્યારબાદ શિક્ષકે કોલ કરતા  હું સ્કૂલ પર ગયો હતો.   મારા પુત્રને પૂછતા તેણે જણાવ્યું હતું કે, શિક્ષકે મને માર માર્યો છે. જેથી,હું શિક્ષકને મળવા સ્ટાફ રૃમમાં ગયો હતો. તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સ્ટાફ  રૃમમાં બેેઠેલા શિક્ષકોએ દરવાજો બંધ કરી મને માર માર્યો હતો. 


લાફો મારનાર શિક્ષકને વાલીએ કઇ રીતે ઓળખી કાઢ્યા 

 વડોદરા,

સ્કૂલમાં પહોંચેલા વાલી અને શિક્ષક એકબીજાને ઓળખતા નહતા. તેમ છતાંય વાલી સીધા શિક્ષક પાસે જઇને મારામારી શરૃ કરી દે છે. સ્કૂલમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજમાં એવું સ્પષ્ટ દેખાય છે કે, સ્ટાફ રૃમ સુધી પહોંચીને વાલી થોડીવાર ઉભા રહે છે  અને પછી અંદર જઇને શિક્ષક પર તૂટી પડે છે. જેથી, એવું અનુમાન થઇ  રહ્યું છે કે, કોઇએ વાલીને બતાવ્યું હશે કે, ડ્રોઇંગ  શિક્ષક આ છે.. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


વિદ્યાર્થીને  ફૂટપટ્ટીથી માર માર્યાની વાત ખોટી છે ઃ ડ્રોઇંગ ે શિક્ષક

વડોદરા,

શ્રેયસ સ્કૂલના ક્લાસ રૃમમાં અને સ્ટાફ રૃમમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.સ્કૂલના ડ્રોઇંગ ે  શિક્ષકનું કહેવું છે કે, મેં બાળકને માર માર્યો નથી. પરંતુ, સામાન્ય   કલર સર્કલ પણ તે બનાવતો ન હોવાથી  મેં તેને વ્હાલથી ટપલી મારી  હતી. ફૂટપટ્ટીથી માર માર્યાની વાત ખોટી છે. હું ડ્રોઇંગનો શિક્ષક  હોઇ મારા હાથમાં ફૂટપટ્ટી હતી.પણ મેં ફૂટપટ્ટી મારી નથી.


માધ્યમિક શિક્ષક સંઘ અને શાળા સંચાલક મંડળની વાલી સામે કાર્યવાહી કરવા માગ

.શિક્ષક સાથે ે હાથાપાઈ કરી અઘટિત વર્તન કર્યું તે અત્યંત શરમજનક ઘટના છે

શહેરના માંજલપુર વિસ્તારની શ્રેયસ હાઈસ્કૂલમાં શિક્ષક અને વાલી વચ્ચે થયેલા ઘર્ષણની ચકચારી ઘટનામાં શાળા સંચાલક મંડળ અને ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘે શિક્ષકને પોતાનું સમર્થન જાહેર કરીને વાલી સામે યોગ્ય કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે કહ્યું હતું કે, વાલી દ્વારા શિક્ષક પર કરાયેલા હુમલાની ઘટના સમાજ માટે નિંદનીય છે.આ ઘટનાને સંગઠન વખોડી કાઢે છે અને પોલીસ વાલી સામે આકરી કાર્યવાહી કરે તેવી અપીલ છે.

શહેર શાળા સંચાલક મંડળે કહ્યું હતું કે, વાલીએ સ્ટાફ રુમમાં પ્રવેશીને  શિક્ષક સાથે ે હાથાપાઈ કરીે અઘટિત વર્તન કર્યું છે, તે  શિક્ષણ જગત માટે શરમજનક ઘટના છે.તેને સંચાલક મંડળ વખોડી કાઢે છે.

Tags :