Gujarat

સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં 24 કલાક સિક્યુરીટ ગાર્ડસ મુકાશે

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં 24 કલાક સિક્યુરીટ ગાર્ડસ મુકાશે

- રવિવારે ઓનડયૂટી નર્સ પર હુમલાની ઘટના બાદ સલામતી માટે નર્સિંગ સ્ટાફની રજૂઆત બાદ વ્યવસ્થા કરાઇ

        સુરત:

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રવિવારે કેઝ્યુલીટી વિભાગમાં નર્સ પર હુમલા બાદ અહી 24 કલાક સિક્યુરીટી ગાર્ડસ તહેનાત કરવા માંગ થતા વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલના નર્સિગ સ્ટાફ ઝંખનાબેન પટેલ પર રવિવારે અજાણ્યા દર્દીએ હુમલો કર્યો હતો. આ અંગે નર્સિગ સ્ટાફ દ્વારા હુમલાખોર સામે એફઆઇઆર કરવા તેમજ કેઝયુલીટીની અંદરના ભાગે 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મુકવા અધિકારીને રજૂઆત થઇ છે. ઘણીવાર અને ખાસ કરીને રાત્રીના સમયે આલ્કોહોલિક, ડ્ગ્સ એડિક્ટ દર્દીઓને પણ સારવાર તેમજ મેડિકલ તપાસ માટે  અહી લવાય છે. ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સ્ટાફને પણ પૂરતી સુરક્ષા મળી રહે તે માટે ગાર્ડ મુકવા માંગણી થઇ છે. ઉપરાંત હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં પણ યોગ્ય રીતે અને ડયુટી પ્રમાણે પોલીસ કર્મીઓને મુકવામાં આવે. રજૂઆત બાદ સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા કરાઇ હોવાનું નર્સીંગ સુપ્રિન્ટેન્ડેન્ટ સુરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.

 

- પોલીસ ચોકીમાં ઘણીવાર જવાનો હાજર હોતા નથી

સૂત્રોએ જણાવ્યું કે, સ્મીમેર હોસ્પિટલની અંદર પ્રવેશતા જ પોલીસ ચોકી છે પણ શોભાના ગાંઠિયા જેવું લાગે છે. ઘણીવાર પોલીસ કર્મીઓ હાજર દેખાતા નથી. નર્સ પર હુમલાની ઘટના બાદ ચોકીમાં પોલીસ જવાનોની વ્યવસ્થા બરાબર કરવી જરુરી છે જેથી હુમલાખોર કે તોફાની તત્વોમાં ખોફ રહે અને સ્ટાફ સુરક્ષાની લાગણી અનુભવે.

 

- સ્મીમેર અને હેલ્થ સેન્ટરના નર્સિંગ સ્ટાફના ભથ્થા વધારવા રજૂઆત

સ્મીમેર હોસ્પિટલ, મસ્કતિ હોસ્પિટલ તથા શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરમાં ફરજ બજાવતા નર્સિગ સ્ટાફ (એએનએમ)સહિતના નર્સિગ એલાઉન્સ, ગણવેશ ભથ્થુ, ધોલાઇ ભથ્થામાં રૃા.૧૭૦૦ વધારો કરવા સ્થાય સમિતિના અધ્યક્ષને નર્સિગના અગ્રણી ઇકબાલ કડીવાલા, કિરણભાઇ, દિનેશ, નિલેશ સહિતના રજુઆત કરી છે. અમદાવાદ અને નગરપાલિકા નડીયાદમાં તેનો અમલ થયેલો છે. .