ડાકોરમાં ઠાકોરજીની પરંપરાગત રથયાત્રા નીકળી
- 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ડાકોર શહેર ગુંજી ઉઠયું : રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
- 8 કિલોમીટરની રથયાત્રાના રૂટમાં ઢોલ-નગારા, ભજન મંડળીઓ સાથે શહેરમાં ફરી સાંજે નીજ મંદિરે પરત ફરી, ગોપાલલાલજીને ચાંદીના રથમાં બિરાજમાન કરાયા
આણંદ : યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીની ૨૫૩ મી રથયાત્રા યોજાઇ હતી. આઠ કિલોમીટરના રથયાત્રાના રૂટ પર જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠયા હતા. ચરોતર સહિત રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. સાંજે રથયાત્રા નિવિધ્ને સંપન્ન થતાં પોલીસ અને વહિવટી તંત્રને હાશકારો થયો હતો.
યાત્રાધામ ડાકોર મંદિરમાં ઠાકોરજીને મંગળા આરતી બાદ શ્વેત વસ્ત્રોના અલંકારી અભુષણો સાથે તૈયાર કરવામાં આવ્યા હતા અને નવ વાગ્યાના આરસામાં શણગાર આરતી કરાઇ હતી. ત્રણ ભોગ સાથે મહાભોગની પ્રસાદી જમાડી ચાંદીના રથનું અધિવાશન કરાયું હતું. ઠાકોરજીની આજ્ઞાા માળા ગોપાલલાલજીને પહેરાવી ચાંદીના રથમાં બિરાનમાન કરાયા હતા. પરંપરા મુજબ ઠાકોરજીનો રથ ઉંચકીને ઘૂમ્મટમાંથી મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ઠાકોરજીને વૈષ્ણવો દ્વારા બનાવેલા કુંજોમાં બેસાડી આરતી કરી હતી. ૧૧ પ્રદક્ષિણા અલગ અલગ રથમાં ગોપાલ લાલજીને બેસાડી મંદિર પરિસરમાં રથ ખેંચવામાં ડાકોરના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું.
ઠાકરોજીની તમામ સવારીમાં વડોદરાની ભાલત્રાસ ભજન મંડળી સાથે ડાકોરની ભાવસાર મંડળી અને વૈઘરાજ ભજન મંડળી દ્વારા ઢોલ નગરા અને શરણાઇના સુર સાથે રથયાત્રાનો આરંભ થયો હતો. ગોપાલલાલજીને મગ, વૈઢા કેરી, સાગરીયા, સીગદાણા, જાંબુ, શીરાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
રથયાત્રા ભરત ભુવનમાં ડાકોર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોપાલલાલજીના અભિવાદન કર્યું હતું. રથયાત્રા રૂટ પર મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી રાધાકુંડ બંગલી મોખા તલાવડી અને બપોરના સમયે ગાયોને વાડે પહોંચી હતી. ગાયોના વાડે ગોપાલલાલજીને સાથે ગૌશાળામાં ગાયોની પૂજા કરી હતી. રથયાત્રા રણછોડપુરા સમાધી કેવડેશ્વર થઈને માખણયા આરે બેઠકમાં બેસાડવામાં આવ્યા હતા. રથયાભા બજરંગદાસની જગ્યાએ થઈ લક્ષ્મીજી મંદિરે બોડાણાજી સત્યાભામા મંદિર થઈ ગોપાલલાલજી નીજ મંદિરે પરત આવી હતી. સાંજના સાત વાગ્યાના આરસામાં રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી.
ગોપાલલાલજીની સવારી મંદિરમાં પરત ફરી ત્યારે સેવક ભાઈઓ દ્વારા કપૂરની આરતી ઉતારીને નજર ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રાબેતા મુજબ નિત્યક્રમ મુજબ ગોપાલલાલજીને નીજ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા અને રાત્રિના ૯ વાગ્યાના અરસામાં ઠાકોરજીને સાયન સખાડી ભોગ ધરાવી પોઢાડી દેવામાં આવ્યા હતા. આમ, ડાકોરમાં ૨૫૩મી રથયાત્રા નિર્વિધ્ને સંપન્ન થઈ હતી.