ડાકોરના ઠાકોરજી પુષ્યનક્ષત્રમાં ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળશે
- 253 મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના આરે
- સવારે 9 કલાકના અરસામાં રથયાત્રા નીકળશે રથયાત્રાના દિવસે દર્શનના સમયમાં વધારો કરાયો
ડાકોરના ઠાકોરની ૨૫૩મી રથયાત્રા શનિવારે ધામધૂમથી નીકળશે. ત્યારે ડાકોર ટેમ્પલ ઠાકોરજીના દર્શનનો સમય સવારે ૬ કલાકે નિજમંદિર ખૂલી ૬.૧૫ કલાકે મંગળા આરતી થશે. બાદમાં સ્નાન સેવા થઈને શ્રીજી ત્રણ ભોગ, મહાભોગ આરોગવા બીરાજશે. મહાભોગ આરતી થઈ સવારે ૯ કલાકે ચાંદીના રથમાં ઠાકોરજીની આજ્ઞાામાળા ધારણ કરી ગોપાલલાલજીને બિરાજમાન કરી રથયાત્રા નીકળશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા સવારી પરત આવતા સુધી શ્રીજી મહારાજના દર્શન ખુલ્લા રાખવાનું નક્કી કરાયું છે.
રથમાં શ્રી ગોપાલલાલજી મહારાજનું અધિવાસન મંદિરની પરિક્રમા માર્ગમાં થશે. મંદિરની તથા વૈષ્ણવ તરફથી થતી કુંજમાં શ્રી ગોપાલલાલજી મહારાજ ક્રમઅનુસાર બિરાજમાન થશે અને તેટલી પરિક્રમા ફેરવવામાં આવશે. વધુમાં વધુ ૧૧ પરિક્રમા મંદિર પરિસરમાં ફરશે. રથ ઉપર પરિક્રમા અને મંદિર પરિસરની બહાર નક્કી થયા મુજબની સંખ્યામાં જ વારાદારીઓએ બેસવા અનુરોધ કરાયો છે. રથ નીજમંદિરથી નીકળી ગૌશાળા, લાલબાગ, શ્રી ભટ્ટજી મહારાજની જગ્યા, મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરીના ચોતરે, રાધાકુંડ, બંગલી મોખાતળાવડી, ગાયોના વાડે (વાડાફાર્મ), રણછોડપુરા, સમાધી, કેવડેશ્વર મહાદેવ, બજરંગદાસની જગ્યા, શ્રીલક્ષ્મી મંદિર, બોડાણા, બેઠક, સત્યભામામંદિર થઈ નીજમંદિર પરત આવશે. પ્રદક્ષિણાના માર્ગ ઉપર શ્રી ગોપાલલાલજી મહારાજની ઉપર જણાવેલી બેઠકોમાં પધારમણી થયા બાદ ભોગ-સામગ્રી ધરાવીને પૂજા-આરતી થયા બાદ પ્રદક્ષિણાની બીજી બેઠકોમાં રથયાત્રા આગળના માર્ગ તરફ નીકળશે. રથયાત્રા માર્ગ ઉપર વૈષ્ણવો શ્રી ગોપાલલાલજી મહારાજની રસ્તા ઉપરથી આરતી અને સામગ્રી ધરાવવા માટે રથને ઉભો રાખવામાં આવશે.