શહેરના દરજીપુરા સ્થિત આરટીઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) ખાતે અત્યાધુનિક એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. સિવિલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. ટ્રેક ઉપર ટ્રાફિક સિગ્નલ તેમજ હાઈ રિઝોલ્યુશન કેમેરા ઈન્સ્ટોલ કરાયા છે. આગામી એકાદ મહિનામાં નવો એઆઈ આધારિત ટ્રેક શરૂ થાય તેવી શક્યતા છે.
આર.ટી.ઓ. કચેરી ખાતે અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી તથા સર્વર ઈશ્યુના કારણે અરજદારોને ધક્કા પડે છે. આજે બપોરે ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં ટ્રેક પર ટેસ્ટ આપી રહેલા અરજદારો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા અનેલ ગભગ ૧૫ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.
નવી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ માટે પણ વીજ પુરવઠાની સ્થિરતા મોટો પડકાર બની શકે છે. અરજદારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે નવી સિસ્ટમ શરૂ કરતા પહેલાં પૂરતી બેકઅપ વ્યવસ્થા અને નિરંતર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અવરોધ ન સર્જાય.


