વડોદરા શહેરમાં રથયાત્રાના રૂટ પરથી હંગામી દબાણો અને બીલ ગામમાંથી ટાઉન ડેવલપમેન્ટમાં બાધારૂપ શેડ દૂર કરાયા
image : Filephoto
Vadodara Corporation : વડોદરા શહેરમાં ચારે બાજુએ આંતરિક તથા જાહેર રસ્તે બિલાડીના ટોપની જેમ ઠેર-ઠેર દબાણો થઈ રહ્યા છે અને દલાલો હપ્તા ઉઘરાવી રહ્યા છે ત્યારે દબાણ શાખાની ટીમની કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન થવાની છે ત્યારે રથયાત્રાના માર્ગ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી જારી છે જ્યારે બીજી બાજુ શહેરના દક્ષિણ છેવાડે આવેલા બિલ ગામમાં ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ કાચા પાકા બનેલા બે શેડ દબાણ શાખાની ટીમે બુલડોઝરના સહારે દૂર કરી એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીનો વરઘોડો ઇસ્કોન મંદિર-રેલવે સ્ટેશનથી બપોરના સુમારે પ્રસ્થાન થશે ત્યારે રથયાત્રાના માર્ગ પર થયેલા હંગામી દબાણો જેવા કે ખાણીપીણી, ચા-પાણીની લારીઓ, ફળફળાદીના શેડ, સહિત હંગામી દબાણો હટાવ્યા હતા.
જ્યારે બીજી બાજુ શહેરના દક્ષિણ છેવાડે આવેલા બિલ ગામમાં ટાઉન ડેવલપમેન્ટ હેઠળના રસ્તે ગેરકાયદે બનાવવામાં આવેલા કાચા પાકા બે શેડ પણ પાલિકાની દબાણ શાખાએ બુલડોઝરના સહારે તોડીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.