વડોદરામાં ખંડેરાવ માર્કેટથી ગુરુદ્વારા થઈ પથ્થરગેટ, મકરપુરા વોર્ડ નં.18માં હંગામી દબાણોનો સફાયો
Vadodara Corporation : ઓપરેશન સિંદૂર બાદ વડોદરામાં પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. આ કાર્યક્રમ અગાઉ બે દિવસથી પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ કાર્યક્રમ પર બ્રેક લગાવાઇ હતી. પરંતુ આજે સવારથી જ ખંડેરાવ માર્કેટથી ગુરુદ્વારા થઈને પથ્થરગેટ ત્રણ રસ્તા સુધીના હંગામી દબાણો સહિત માંજલપુર વોર્ડ નં.18 માં પણ હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
વડાપ્રધાન મોદીના આગમન અગાઉ બે દિવસથી રોડ રસ્તા પર ખાણીપીણીની લારીઓ, પથારા, ચા-પાણીની રેકડીઓ રાખી રોજે રોજનું ખનારાઓને સતત ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા વેપાર ધંધો કરવા દેવામાં આવ્યો ન હતો. કોઈપણ વિસ્તારના આવા હંગામી દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમ સતત વોચ રાખી રહી હતી. જ્યારે બીજી બાજુ પીએમનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ રોડ રસ્તા પર તમામ વિસ્તારમાં દબાણો યથાવત થઈને શ્રમજીવીઓ રોજી રોટી કમાઈને બે ટંકનું પેટીયુ કમાવા તૈયાર થયા હતા.
જ્યારે બીજી બાજુ પાલિકાની દબાણ શાખાની ટીમ નિત્યક્રમ પ્રમાણે આજે ખંડેરાવ માર્કેટથી વેરાઈ માતા ગુરુદ્વારા થઈને પથ્થરગેટ સુધીના હંગામી દબાણો લારી ગલ્લા પથારાવાળા ખદેડવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. આવા દબાણો હટાવ્યા બાદ દબાણ શાખાની અન્ય ટીમ મકરપુરા વોર્ડ નં.18માં પહોંચી ગઈ હતી. જ્યાં પણ રોડ રસ્તા પર ફ્રુટના પથારા, લારી-ગલ્લા, ચા-પાણીની રેકડીઓ ખસેડવામાં વ્યસ્ત બની ગઈ હતી. દબાણ શાખાની ટીમે આ બંને જગ્યાએથી કુલ મળીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.