Gujarat

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત

By GS TEAM
27 Sep 20251 min read
વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત


વડાદલા ખાતે ભયાનક અકસ્માત સર્જાતા એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચી છે.  ફરિયાદના આધારે દહેજ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, પ્રદીપ નટવરભાઈ ગોહિલ, જે છોટા હાથી ટેમ્પો ચલાવે છે, તે ગઈ કાલે રાત્રે એટવાંટિક કંપનીના ચાર કોન્ટ્રાક્ટ શ્રમિકોને ટેમ્પોમાં બેસાડી જોલવા પેટ્રોલ પંપની પાછળ લઈ જઈ રહ્યો હતો. રાત્રે લગભગ 8 વાગ્યે એમએસીએલ કંપની પાસે સામેથી આવતી ટ્રેલરની ડીપર લાઈટનો તેજ પ્રકાશ થતાં ટેમ્પો ચાલકે વાહન સાઈડમાં લીધું હતું. ત્યારે ટ્રેલરમાં આડી રાખવામાં આવેલ લોખંડની ચેનલો ટેમ્પાના જમણા ભાગે અથડાઈ. આ કારણે પાછળ બેસેલા હરાધન મનીન્દ્ર દેવનાથ (રહે – પશ્ચિમ બંગાળ)નો અડધો જમણો હાથ કપાઈ ગયો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પ્રબિન્દ્રા રામાનંદી (રહે – ત્રિપુરા) અને શ્રીધરસિંહ પવન સાયા (રહે – છત્તીસગઢ)ને પણ ઈજાઓ પહોંચી હતી, જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલરની બોડીથી ચાર ફૂટ જેટલી બહાર નીકળેલી ચેનલો પર કોઈ રેડિયમ કે કપડું ન હોવાને કારણે રાત્રિના સમયે તે નજરે ન ચડતા અકસ્માત બન્યો હતો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો.