સરકારી કન્યા શાળામાં શિક્ષિકાએ ધો.-8ની વિદ્યાર્થિનીને માર મારી વાળ કાપી નાખ્યા
મહુધા શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો
ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીને તાવ આવી ગયો, હવે અભ્યાસ નહીં કરવાનું બાળકીનું રટણ શિક્ષિકાને બરતફીની માંગ સાથે વાલીઓની રજૂઆત : ટીપીઓને તપાસ સોંપાઈ
મહુધા સ્થિત સરકારી પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણને કલંકિત કરનારી ગંભીર ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સંગીતાબેન દ્વારા ધોરણ-૮માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ઢોર માર મારી અને તેના માથાની ચોટલી- વાળ કાપી નાખ્યા હતા. આ ચોંકાવનારી ઘટના અંગે વાલીએ શાળાના આચાર્યને રજૂઆત કરી શિક્ષિકાને તાત્કાલિક નોકરી પરથી બરતરફ કરવાની સાથે કાયદેસરની પોલીસ કાર્યવાહીની પણ માંગણી કરી છે. બાળકીના વાલી દ્વારા શાળાના આચાર્યને કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે, મંગળવારના રોજ પ્રાર્થના સમયે આ બનાવ બન્યો હતો. જ્યાં પોતાની ૮મા ધોરણમાં ભણતી દિકરીને શિક્ષિકા સંગીતાબેન દ્વારા પીઠ ઉપર માર મારવામાં આવ્યો હતો અને તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થિની અત્યંત ભયભીત થઈ ગઈ હતી. વાલીએ જણાવ્યું છે કે, વાળ કાપવાનો બનાવ બન્યા બાદ તેણી ખૂબ જ ડરી ગયેલી છે. તેને ખૂબ જ તીવ્ર તાવ આવ્યો છે અને ડરના કારણે તે સતત રડા રડ કરે છે. આ ક્રૂર કૃત્ય બાદ વિદ્યાર્થિની આગળ અભ્યાસ કરવાની પણ ના પાડી રહી છે, જે તેની માનસિક સ્થિતિ પર થયેલી ગંભીર અસર દર્શાવે છે.
- તપાસ કર્યા બાદ રિપોર્ટ ઉપલી કચેરીએ મોકલી અપાશે : ટીપીઓ
આ અંગે ઈન્ચાર્જ ટીપીઓ નિરજ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે મને જાણ કરવામાં આવતા અમે હાલ તપાસ અર્થે આવ્યા છીએ અને તપાસનો રીપોર્ટ ઉપલી વડી કચેરીએ મોકલાશે. જે બાદ કાર્યવાહી કરાવામાં આવશે.
- બે ચોટલા વાળીને નહીં આવેલી છોકરીઓને બતાવવા જતા ભૂલથી કાતર અડી : આચાર્ય
શાળાના આચાર્ય કેતન પટેલે જણાવ્યું હતું કે, પ્રાર્થના સમયે બાળકોને સ્વચ્છતાના ભાગરૂપે તપાસવામાં આવતા હતા. અમુક છોકરીઓએ બે ચોટલા વાળ્યા નહોતા.જેથી બહેને અમુક છોકરીઓને તેમાંથી એક બાળકીને બતાવ્યું કે જો તું ઓળાવીને નહીં આવે તો હું તારા વાળ કાપી નાખીશ અને ભૂલથી તેમનાથી કાતર અડી જતા થોડા વાળ કપાઈ ગયા હતા. તેના વાલીને જાણ કરી હતી, જે શિક્ષિકા છે, તેમને અમે લેખિતમાં માફીપત્ર લખાવ્યું હતું અને વાલીઓ સામે માફી મંગાવી હતી. આ અંગે અમે ટીપીઓને ગતરોજ સાંજે જાણ કરી હતી. હાલ શિક્ષિકા રજા પર છે.
- અગાઉ પણ માર માર્યાની ઘટના બની, શિક્ષિકાને કાયમી છૂટા કરવા માંગણી
વાલીએ અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, અગાઉ પણ પ્રાથમિક કન્યા શાળાની અન્ય શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થિનીઓને માર મારવાના બનાવો બનેલા છે પરંતુ, તે બનાવો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વર્તમાન વાળ કાપવાનો અને માર મારવાનો બનાવ ખૂબ જ ક્રૂરતાપૂર્વક કરવામાં આવ્યો હોવાથી, વાલીએ આવી માનસિકતા ધરાવનારા શિક્ષિકા સંગીતાબેનને કાયમ માટે નોકરીમાંથી છૂટા કરવાની માંગણી કરી છે.