Gujarat
સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક
By GS TEAM
16 Mar 20261 min read

- નાણાંકીય વર્ષ 2025-2026 દરમિયાન વેરાની વસૂલાત
- કરદાતાઓની સુવિધા માટે જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ શાખા ખુલ્લી રખાઈ
સિહોર : સિહોર નગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના અત્યાર સુધીમાં વેરા વસૂલાત પેટે સવા કરોડથી વધુની આવક મેળવવામાં આવી છે. હજુ નાણાંકીય વર્ષ પૂર્ણ થવાને એક પખવાડિયું બાકી હોય, ૨૫ લાખ જેટલી બાકી વેરાની આવક થવાની ધારણ છે.
સિહોર પાલિકા દ્વારા આ વર્ષે વેરા વસૂલાતની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરદાતાઓમાં પણ જાગૃતતા આવી હોવાના કારણે છેલ્લા સાડા ૧૧ માસમાં ન.પા.ની તિજોરીમાં ૧.૨૫ કરોડની માતબર રકમ ટેક્સ પેટે જમા થઈ છે. હજુ માર્ચ એન્ડીંગના ૧૫-૧૬ દિવસ બાકી હોય, આ વર્ષે વેરાની રકમ દોઢેક કરોડને આંબી જશે તેવું ટેક્સ શાખાના સુપરવાઈઝર રાજુભાઈ ટીમાલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં કરદાતાઓની સુવિધા માટે શનિ-રવિની જાહેર રજામાં ટેક્સ શાખા ખુલ્લી રાખવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ જાહેર રજામાં ટેક્સ કલેક્શન બારી ખુલ્લી રખાશે તેમ જાણવા મળ્યું છે.








