Get The App

કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર?

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર? 1 - image


Income Teax Notice News : તમારી આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત જણાશે તો આવકવેરા ખાતું તમને નોટિસ આપી શકે છે. આવકવેરા કચેરી પાસે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાથી અને ડેટાએનાલિટિક્સના નિયમોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા હોવાથી તમે જાહેર કરેલી આવક અને તમે કરેલા ખર્ચની વિગતો તે મેળવી શકે છે. તેથી કરદાતાએ હવે પછી પારદર્શકતાથી આવકવેરો ભરી દેવાનો રહેશે અન્યથા તમને આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે.

કરદાતા ટેક્સ ડિડક્શન એટ સોર્સની રકમનું રિફંડ માગશે તો તેવા સંજોગોમાં આવકવેરા કચેરી તમારા આકવેરાના રિટર્નની ચકાસણી પણ કરશે. આવકવેરા ધારા હેઠળ 2025ના વર્ષથી નવા નિયમો અમલમાં આવ્યા હોવાથી કરદાતા તમારી ટીડીએસના રિફંડના ક્લેઈમની બારીકાઈ પૂર્વક ચકાસણી કરીને પછી જ રિફંડ આપશે. 2025-26ના આકારણી વર્ષમાં કરદાતાના રિટર્નની ચુસ્ત સ્ક્રૂટિની કરવા માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કરદાતાએ હાઈવેલ્યુ ટ્રાન્ઝેક્શન કર્યા હશે તેના વહેવારો પર રેડફ્લેગ રિફ્લેક્ટ થશે. તેને આધારે પણ કરદાતાને આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે. તમારા ઓનલાઈન આર્થિક વહેવારોને જોઈને આપોઆપ જ તમને નોટિસ પાઠવી દેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. 2025-26ના વર્ષના આકારણી અંગેના નિયમ મુજબ કરદાતા સામે ફરજિયાત તપાસ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં આવકવેરાના ૬૦ લાખથી વધુ રિટર્ન ફાઈલ કરી દેવામાં આવ્યા છે. તેમાંથી એક લાખથી વધુ રિટર્નનું પ્રોસેસિંગ થઈ ગયું હોવાનું આવકવેરા ખાતાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે. આવકવેરા ખાતાને કરચોરી કરનારા કરદાતાઓ પર તૂટી પડવાની સૂચના આપી દેવામાં આવી છે. તેને માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેટા એનાલિટિક્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટી રકમના સોદાઓની વિગતો પકડી પાડવામાં આવે છે. તેમ જ મિલકતની ખરીદીમાં કરવામાં આવેલા રોકાણની વિગતો પકડી પાડવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ખર્ચાઓ પકડી શકાય છે.

કરદાતાના આર્થિક વર્તનને આધારે તેણે ખરેખર કરચોરી કરી છે કે નહિ તે પકડી પાડે છે. પરિણામે આવકવેરા અધિકારીઓ વધુ ચુસ્ત રીતે આકારણી કરી શકે છે. તેમ જ પારદર્શકતા સાથે વિગતો આપીને કરચોરીની નોટિસ આપી શકે છે. કરદાતાના બેન્ક એકાઉન્ટની વિગતો, ખર્ચ કરવાની તેની આદત, રોકાણ કરવાની તેની આદત અને તેણે જાહેર કરેલી આવકની વિગતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મેળવી શકાય છે. આ બધી માહિતીને એક કરીને પછી તે અંગે તપાસ કરી શકાય છે.

તેમાંય જે કરદાતાઓના બેન્ક એકાઉન્ટમાં ઓછી રકમ જમા પડી હોય, પરંતુ તેઓ મોટી રકમનો ખર્ચ કરતા હોવાનું જોવા મળે છે. રિયલ એસ્ટેટમાં, વિદેશ પ્રવાસ કરવામાં અને લક્ઝરી બ્રાન્ડની ખરીદી કરવામાં તેઓ મોટો ખર્ચ કરતાં હોવાનું જોવા મળે છે. તેઓ સોનાની પણ ખાસ્સી ખરીદી કરતાં હોવાનું જોવા મળે છે. ઓછી આવક ધરાવતા હોવાનું દર્શાવીને વૈભવી જીવન જીવનારાઓ આવકવેરાના ટાર્ગેટ પર છે. આ પ્રકારના કિસ્સાઓમાં નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે. તેને આવકવેરા ખાતું મિસમેચ તરીકે જુવે છે. આમ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને સ્ક્રૂટિની કરવા માટેનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે.

કરચોરી રોકવા માટે સરકારે હવે રિયલ ટાઈમ ડેટાનો પણ ઉપયોગ કરવા માંડયો છે. કોણ કેટલો ખર્ચ કરે છે અને આવકવેરાના રિટર્નમાં કેટલી આવક બતાવે છે તે પણ જોવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વર્ષમાં 10 લાખથી વધુનો ખર્ચ કરતાં, મિલકતની ખરીદીમાં 30 લાખથી વધુનો ખર્ચ કરતાં અને વર્ષ દરમિયાન 2 લાખથી વધુ રકમ રોકડેથી ખાતામાં જમા કરનારાઓ પર પણ આવકવેરા ખાતાની નજર છે. આ બધી જ બાબતોનું હવે સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા વિભાગની કોના પર નજર 

- કલમ 133 હેઠળ સરવે કરવામાં આવ્યો હોય તેવા કરદાતાઓના રિટર્ન પર ખાસ નજર રાખવામાં આવશે

- પહેલી એપ્રિલ 2023 અને 31મી માર્ચ 2025 વચ્ચે જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હશે અને કોઈને કોઈ અસ્ક્યામતની જપ્તી કરવામાં આવી હશે તેમના રિટર્નની પણ ચકાસણી કરવામાં આવશે.

- અગાઉ ઓછી આવક દર્શાવતા અને હવે એકાએક ઊંચી આવક દર્શાવવા માંડેલા કરદાતાઓના રિટર્ન પર બારીક નજર રાખવામાં આવશે. મેટ્રો શહેરમાં આ મર્યાદા 50 લાખની અને નાના શહેરો માટે આ મર્યાદા 20 લાખની રાખવામાં આવી છે.

- સીબીઆઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોઈ પણ કરદાતા અંગે માહિતી આપી હશે તેમના પર નજર રાખવામાં આવશે.

- ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજની કે સેવિંગ એકાઉન્ટના વ્યાજની આવક ન દર્શાવનારા કરદાતાઓ પર નજર રાખવામાં આવશે.

- કરકપાતના ખોટા ક્લેઈમ કરનારાઓ પર નજર રાખવામાં આવશે.

- કાયદેસરના દસ્તાવેજો વિના ખોટી રીતે વેરા માફી લેનારાઓ પર નજર રાખવામાં આવશે.

- પત્ની કે બાળકના નામે રોકાણ કરીને આવકવેરાના રિટર્નમાં તેની વિગતો ન દર્શાવનાર પર બારીક નજર રાખવામાં આવશે.

- પરિવારના સભ્યને નામે રોકાણ કરીને આવકવેરાના રિટર્નમાં તે વિગતો ન દર્શાવનારા કરદાતાઓ પર આવકવેરા ખાતું નજર રાખશે.

- આવકવેરા ધારાની કલમ ૬૪માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કરદાતાએ તેની આવકનું પરિવારના સભ્યને નામે રોકાણ કર્યું હોય તેવા કિસ્સામાં કરદાતાને માથે આવકવેરાની જવાબદારી આવશે.

Tags :