Get The App

વળતર યોજનામાં 3,21,861 મિલ્કતો પર રૂ।. 226.98 કરોડનો ટેક્સ ભરાયો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
વળતર યોજનામાં 3,21,861 મિલ્કતો પર રૂ।. 226.98 કરોડનો ટેક્સ ભરાયો 1 - image


દર 4માંથી 3 કરદાતાઓ ઓનલાઈન ટેક્સ ભર્યો  : ગત વર્ષથી 2.61 કરોડની આવક  : 16,000 કરદાતા વધ્યા :  વન ટાઈમ  સેટલમેન્ટની સ્કીમની બાકીદારો પર અસર નહીં

રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની ઓફિસબેઠા ટેક્સની આવક રળી આપતી 10 ટકા કે વધુ વળતરની યોજના ગત શનિવાર તા. 31મેના પૂર્ણ થઈ હતી જે દરમિયાન 3,21,961 મિલ્કતો ઉપર લોકોએ સામે ચાલીને રૂ।. 226.98 કરોડનો ટેક્સ ભરી દીધો છે અને બદલામાં આશરે રૂ।. 21 કરોડનું રોકડ વળતર મેળવ્યું છે. 

નોંધપાત્ર બાબત એ છે કે કૂલ 3.22 લાખ જેટલા કરદાતાઓમાં 2.41 લાખે વેબસાઈટ પર રૂ।. 151 કરોડનો ઓનલાઈન ટેક્સ ભરવાનું પસંદ કર્યું છે જેમાં 10 ટકા ઉપરાંત 1 ટકો રોકડ વળતર અપાયું છે.આમ, શહેરમાં હવે દર 4માંથી ૩ મિલ્કતધારકો ઘર-ઓફિસ બેઠા મોબાઈલથી જ હાઉસટેક્સ ભરે છે. આશરે 76 કરોડની રકમ મનપાની કચેરીઓએ ભરાઈ છે તેમાં રૂ।. 40 કરોડ રોકડમાં ભરવામાં આવ્યા છે. 

ગત વર્ષ કરતા મનપાને આ વર્ષે રૂ।. 2.61 કરોડની આવકમાં વધારો થયો છે અને કરવેરો ભરનારાની સંખ્યામાં 16,000નો વધારો નોંધાયો છે. આશરે અઢી લાખ બાકીદારો માટે મનપાએ વનટાઈમ સેટલમેન્ટની હપ્તા કરી આપતી યોજના અમલમાં મુકી હતી પરંતુ, તેનાથી આવકમાં ખાસ ફરક પડયો નથી, અર્થાત્ આ સ્કીમ સફળ રહી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્કીમને લંબાવવી પડી છે. પરંતુ, સ્કીમ કરતા કડક ઝૂંબેશ જ આવક પર સાનુકૂળ અસર કરી શકે તેમ છે.

Tags :