Gujarat

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર

By GS TEAM
12 Jan 20262 mins read
૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર

વડોદરા : કરોડો રૃપિયાના જીએસટી કૌભાંડમાં ધરપકડ કરાયેલા અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટે જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, કન્સલ્ટન્ટ મોહમ્મદમોબીન અમીરઅલી ભુરાણી સામે સીજીેસટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં આરોપીએ કુલ ૩૨ જેટલી બોગસ પેઢીઓના ફેક રિટર્ન ભરી સરકારને અંદાજે ૧૩૪.૨૪ કરોડ રૃપિયાનો ચૂનો લગાવ્યો હતો અને અને ૧૦૮.૯૫ કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સપાટી પર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી મોહમ્મદમોબીન ભુરાણીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે,આરોપીના કમ્પ્યુટરમાંથી ૩૨ શંકાસ્પદ પેઢીઓની વિગતો મળી આવી છે જે વિભાગની યાદી સાથે મેળ ખાય છે. આ ઉપરાંત આરોપીના જ કર્મચારીએ નિવેદન આપ્યું હતું કે તેણે અગાઉ ત્રણ-ચાર વાર ચેતવણી આપી હોવા છતાં આરોપીએ આ કૌભાંડ ચાલુ રાખ્યું હતું. તપાસમાં એ પણ ખૂલ્યું હતું કે જે ઇન્ટરનેટ આઇપી એડ્રેસ પરથી  બોગસ રિટર્ન ભરાયા હતા, તે બ્રોડબેન્ડ કનેક્શન પણ આરોપીના  નામે હતું.

બન્ને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, આ એક ગંભીર પ્રકારનો આથક ગુનો છે જેમાં ઉંડાણપૂર્વકની તપાસની જરૃર છે. અરજદારે ટેક્સ કન્સલ્ટન્ટ હોવા છતાં કોઈ રેકોર્ડ રાખ્યા વિના બોગસ પેઢીઓના રિટર્ન ભર્યા હતા. આ કેસમાં અન્ય મુખ્ય આરોપી હજુ ફરાર છે અને તપાસ ચાલુ છે.