Gujarat

૭૦ કરોડની જીએસટી ચોરીમાં ટેક્સ કન્સલટન્ટની જામીન અરજી રદ

By GS TEAM
9 Jul 20252 mins read
૭૦ કરોડની જીએસટી ચોરીમાં ટેક્સ કન્સલટન્ટની જામીન અરજી રદ

વડોદરા. બોગસ કંપની બનાવી રૃા.૩૦૦ કરોડના આર્થિક વ્યવહારો કરી ૬૯.૭૦ કરોડની જીએસટી ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલા ટેક્સ કન્સલટન્ટની સીજીએસટીએ ધરપકડ કર્યા બાદ આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, તપાસમાં આરોપીએ કૌભાંડમાં મહત્વનો રોલ ભજવ્યો હોવાનું જણાય છે. ગંભીર પ્રકારનો ગુનો છે. વ્હાઇટ કોલર આર્થિક ક્રાઇમ દેશને નૂકસાન પહોંચાડી રહ્યું છે ત્યારે જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.

ઉલ્લેખનીય છે કે, બોગસ કંપનીઓ બનાવી કરોડોની જીેએસટી ચોરી થઇ હોવાની વિગતો ખુલવા પામતા સપ્ટેમ્બર ૨૦૨૩માં કોમલ રવજાણી અને અલીરાજા નામના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ બન્ને શખ્સની તપાસમાં ટેક્સ કન્સલટન્ટ હ્દય મધુભાઇ શાહની સંડોવણી ખુલવા પામતા સીજીએસટીએ તા.૨ જુલાઇના રોજ તેની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેતા હ્દય શાહે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ખોટા બીલો બનાવી ૩૦૦ કરોડના નાણાંકીય વ્યવહારો કર્યા છે અને કૌભાંડ આચર્યું છે.

સ્પેશ્યલ સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, તપાસમાં આરોપીએ બોગસ કંપનીઓ બનાવી ખોટા ઇનવોઇસ બનાવી ટેક્સ ડિડકશન બતાવી ં ૬૯.૭૦ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. આરોપીઓએ સરકાર તેમજ જાહેર જનતાના નાણાંની ચોરી કરી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે જામીન મંજૂર ન કરવા જોઇએ. અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીને જામીન આપવામાં આવશે તો સમાજ પર અવળી અસર પડશે તેવી પણ ચૂકાદામાં નોંધ કરી હતી.