પ્લેન ક્રેશમાં દરેક મૃતકોના કુટુંબીને ટાટા એક કરોડનું વળતર આપશે
- મેડિકલ હોસ્ટેલના નવનિર્માણમાં પણ મદદ કરશે
- મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ દુર્ઘટના વખતે પ્રતિ પ્રવાસી રૂ. 1.4 કરોડ સહાય ચૂકવવી પડે
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા પછી દેશમાં શોકની લહેર છે. આ સમયે એર ઇન્ડિયાની માલિક ટાટા જૂથના ચેરમેન ચંદ્રશેખરને મૃતકોના કુટુંબીને એક-એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ટાટા જૂથ આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓની સારવારનો ખર્ચ પણ ભોગવશે. તેની સાથે તેમને જરૂરી દેખભાળ અને સમર્થન પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં નુકસાન પામેલી બી જે મેડિકલ કોલેજના ડોક્ટરોની હોસ્ટેલનું પુર્નનિર્માણ કરવામાં પણ ટાટા મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે એરલાઇન્સ આંતરરાષ્ટ્રીય પેસેન્જરોનું મૃત્યુ થાય ત પ્રકારની દુર્ઘટનાની સ્થિતિમાં પ્રતિ પેસેન્જર રૂ. ૧.૪ કરોડની સહાય ચૂકવે છે. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં તેના કરતાં ઓછી રકમ ચૂકવાય છે. પણ ભારતીય એરલાઇન્સ આ પ્રકારના બનાવમાં પણ તેટલી જ કે તેટલાની નજીક રકમ ચૂકવતી હોય છે. જો કે દરેક વિમાની પ્રવાસીનો વીમો હોય જ છે.
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં મૃત્યુ કે શારીરિક ઇજાની સ્થિતિમાં ભારતમા ઉડતી એરલાઇન્સે મોન્ટ્રિયલ કન્વેન્શન ૧૯૯૯ના નિયમમાં બંધાયેલી છે. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેના પર ભારતે પણ સહીસિક્કા કર્યા છે. તેના હેઠળ દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક પ્રવાસીને સરેરાશ ૧.૪ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. તેમા પણ જો એરલાઇનનો ફોલ્ટ હોવાનો માલૂમ પડે તો અકસ્માત વળતર વધી પણ શકે છે.