Vadodara : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ફેબ્રિકેશન સામાનના વેપારી ચિરાગકુમાર ઠક્કરે મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના માલિક દુર્ગેશ ભુરા પરિહાર અને તેમના પુત્ર ભાવેશ પરિહાર સામે રૂ.11.49 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વેપારી તરસાલી બાયપાસ પાસે લાવણ્યા એન્જિનિયર્સ કંપની નામે વેલ્ડીંગ રોડ, વાયર, કન્ઝ્યુમેબલ અને એસેસરીઝનો વેપાર કરે છે. તેમની ફરિયાદ પ્રમાણે, વાઘોડિયા GIDC પ્લોટ નંબર 188/A ખાતે આવેલી મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ 2021–22 દરમિયાન ધંધાકીય વ્યવહારમાં પિતા–પુત્રએ આપેલા ઓર્ડર મુજબ સામાન સપ્લાય કર્યો હતો. આ સમયગાળાના કુલ 32 બિલોનું રૂ.11,49,201 પેમેન્ટ પેન્ડિંગ હોવા છતાં વારંવાર ઉઘરાણી બાદ પણ રકમ ચૂકવાઈ નહોતી. બિલની ચુકવણી માટે પરિહારે ડેકલેરેશન આપ્યું હતું અને રૂ.11.49 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હતો. ફરિયાદ મુજબ, ઓર્ડરથી લીધેલો વેલ્ડીંગનો સામાન પિતા-પુત્રે અન્ય કંપનીને વેચી નાખ્યો હતો અને કંપનીનું બેંક એકાઉન્ટ બંધ હોવા છતાં ચેક આપ્યો હતો. કપુરાઈ પોલીસે ફરિયાદના આધારે દુર્ગેશ પરિહાર અને ભાવેશ પરિહાર સામે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


