સુરતમાં આગામી 5 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 30 હજાર આવાસ માટે લક્ષ્યાંક
image : Filephoto
Surat PMAY Housing : ગુજરાતના અન્ય શહેરો કરતા સુરત શહેરમાં સ્લમનું પ્રમાણ મોટી માત્રામાં ઘટી રહ્યું છે. સુરતમાં સ્લમની સંખ્યા ઘટવા પાછળ સરકારની વિવિધ યોજના હેઠળ બની રહેલાં આવાસ છે. પાલિકા વિસ્તારમાં વિવિધ યોજનાઓ હેઠળ બની રહેલી આવાસ લોકો માટે ઘણાં જ કિફાયતી છે અને મોટી સંખ્યામાં બની રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી પાંચ વર્ષમાં સુરત શહેર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ 30 હજાર આવાસ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એક હોલ રૂમ કિચન અને બે રૂમ હોલ કિચન માટે અલગ અલગ પ્લાનીગ રજુ કરવામાં આવ્યું હતું.
એક સમયે સુરત શહેર ઝૂંપડપટ્ટીની સંખ્યા ઘણી જ વધુ હતું. ભુતકાળમાં સુરતના તાપી નદી કિનારે તથા શહેરમાંથી પસાર થતી ખાડી કિનારે ઉપરાંત શહેરમાં હાલ જ્યાં ગોપી તળાવ છે તેની આસપાસ સંખ્યાબંધ ઝુંપડા હતા. શરૂઆતના સમયમાં કેન્દ્ર સરકારની જે.એન.યુ.આર.એમ. યોજના હતી. જેમાં સુરતના તાપી કિનારે વસેલું બાપુનગર, નેહરુનગર સહિતની અનેક ઝૂંપડપટ્ટીનું કોસાડ અને ભેસ્તાન ખાતે બનેલા આવાસમાં ઝુંપડાવાસીઓને વસવાટ કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં એન.યુ.આર.એમ. યોજના હેઠળ આવાસ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી જ સુરત શહેરમાં ઝૂંપડપટ્ટીની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયું હતું. ત્યાર બાદ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત વિવિધ યોજના હેઠળ આવાસ બનાવાનું શરૂ થયું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય આવાસ યોજનાની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી આવાસની ડિમાન્ડ પણ વધી રહી છે. જેના કારણે આગામી પાંચ વર્ષમાં વધુ 30 હજાર આવાસ બનાવવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ આવાસ માટે ડિઝાઇન બનાવવા માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની રાજ્ય સરકાર દ્વારા નિયુકત 15 કન્સલટન્ટો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 15 પૈકી 8 ડિઝાઇન કન્સલટન્ટો હાજર રહ્ના હતા. પાલિકાના અધિકારીઓની હાજરીમાં આ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યુ હતું. જેમાં 8 ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એક હોલ રૂમ કિચન અને બે રૂમ હોલ કિચન માટે અલગ અલગ પ્લાનીગ રજુ કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ હવે આગામી દિવસોમાં ક્યા પ્લાન અને કઈ ડિઝાઈન હેઠળ આગળ વધવું તે માટે નિર્ણય કરાશે.