તારાપુરના ગ્રુપની 10 વર્ષમાં 1,456 બોટલ રક્તદાનની નિઃસ્વાર્થ સેવા
- ઈબીડી ગ્રુપના 1500 સભ્યો રક્તદાન માટે સ્વખર્ચે પહોંચે છે
તારાપુર : તારાપુર ખાતે આવેલા ઈમર્જન્સી બ્લડ ડોનેટ (ઈબીડી) ગ્રુપના ૧૫૦૦ જેટલા સભ્યોએ સ્વખર્ચે ૧૦ વર્ષમાં ૧,૪૫૬ બોટલ રક્તદાન કર્યું છે. ગ્રુપમાં સૌથી વધુ આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના રક્તદાતાઓ છે. આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી સુધી દર્દીઓ સુધી સભ્યો સ્વખર્ચે પહોંચી રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે.
તારાપુરના દુગારી ખાતે રહેતા ઈમર્જન્સી બ્લડ ડોનેટ ગ્રુપના સ્થાપક પ્રતાપસિંહ મહોબતસિંહ પરમારે જણાવ્યું હતું કે, હું અને સહકાર્યકર વિજયભાઈ ચુડાસમા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલન્સમાં પાયલોટ તરીકે નોકરી કરતા હતા. ત્યારે બાળકની મેડિકલ ઈમરન્સી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. થોડા દિવસો બાદ ડૉક્ટરનો સંપર્ક કરતા લોહીની વ્યવસ્થા ન થતા બાળકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમયસર રક્ત મળી શક્યું હોત તો બાળકનો જીવ બચી ગયો હોત તેવા વિચાર બાદ મેં અને સરકર્મીએ ઈમરજન્સીમાં નિઃસ્વાર્થ સેવાથી રક્ત મળે અને દર્દીનો જીવ બચાવી શકાય તેવા વિચાર સાથે તા. ૧/૭/૨૦૧૫ના રોજ ઈમર્જન્સી બ્લડ ડોનેટ ગ્રુપ (ઈબીડી ગ્રુપ)નું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. પાંચ મિત્રોથી શરૂ થયેલા ગ્રુપમાં હાલ ૧૫૦૦ સભ્યોએ ૧૦ વર્ષમાં ૧,૪૫૬ બોટલ રક્તદાન કર્યું છે.
ગ્રુપ રક્તદાતાનું લિસ્ટ રાખે છે. સભ્યો પર જરૂરિયાતમંદ દર્દીના સગા કે અન્યનો કોલ મળતા કયા બ્લડ ગ્રુપનું, કેટલી બોટલ અને કયા સ્થળે રક્ત જોઈએ છે તેની પ્રાથમિક માહિતી મેળવી ગ્રુપમાં વૉટ્સએપમાં મૂકી રક્તદાતાને જાણ કરાય છે. રક્તદાતા સ્વૈચ્છિક હા કહે તો તેમનો સંપર્ક જરૂરિયાતમંદ દર્દીના સગા સાથે કરાવી દેવાય છે. બાદમાં રક્તદાતા સ્વખર્ચે જે તે સ્થળે રક્તદાન કરી આવે છે. રક્તદાતા અને રક્તની જરૂરિયાતવાળા વચ્ચે અમે માધ્યમ તરીકે નિઃસ્વાર્થ સેવા કરીએ છીએ. અમારા ઇબીડી ગ્રુપના ૧૦ વર્ષ પૂર્ણ થતા રક્તદાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
160 અને 100 વખત રક્તદાન કરનારા અમરેલી, સાયલાના રક્તદાતાઓ સક્રિય
ઈબીડી ગ્રુપમાં ૬૫ વર્ષના અમરેલી રહેતા હનુભા વાળા એક્સ પોલીસમેન છે. તેઓએ ૧૬૦ વખત કરતાં પણ વધુ વખત રક્તદાન કરેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતા ૬૦ વર્ષના સબીરભાઈ દારૂવાલાએ ૧૦૦ વખત રક્તદાન કરેલું છે.