તારાપુરને મળ્યો નગરપાલિકાનો દરજ્જો: આણંદની 9મી, રાજ્યની 150મી પાલિકા
Anand Tarapur :આણંદ જિલ્લાના તારાપુર ગામને નગરપાલિકાનો દરજ્જો મળતા તાલુકાભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી તારાપુરના સર્વાંગી વિકાસ માટે તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી થઈ રહી હતી, જેને ગુજરાત સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. તારાપુર ગ્રામ પંચાયતને 'ક' વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, જે આણંદ જિલ્લાની 9મી અને રાજ્યની 150મી નગરપાલિકા બની છે.
દોઢે વર્ષથી વહીવટદારનું શાસન હતું
સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુરના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો ફળીભૂત થતા તારાપુરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી તારાપુર ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હતું, ત્યારે હવે નગરપાલિકાનો દરજ્જો મળવાથી ગામના વિકાસ કાર્યોને નવી દિશા મળશે.
નવા સીમાંકનની કાર્યવાહી હાથ ધરાશે
નવા દરજ્જા સાથે જ સરકાર દ્વારા ભૌગોલિક સ્થિતિના આધારે નવા સીમાંકનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, તારાપુર મામલતદાર જે.જે. તળપદા ને તારાપુર નગરપાલિકાના પહેલા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શુક્રવારે સાંજે સાત વાગ્યે વહીવટદાર તરીકેનો ચાર્જ પણ સંભાળી લીધો હતો.
પ્રાથમિક સુવિધાઓના કામને વેગ મળશે
તારાપુરને નગરપાલિકાનો દરજ્જો મળવાથી જાહેર આરોગ્ય, સ્વચ્છતા, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના કામને વેગ મળશે તેવી આશા બંધાઈ છે. આ નિર્ણયથી તારાપુરના લોકોના જીવનધોરણમાં સુધારો થશે અને ગામ વધુ આધુનિક સુવિધાઓ સાથે વિકાસના પંથે આગળ વધશે.