Gujarat

તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ

By GS TEAM
4 Feb 20262 mins read
TukuTouch Logo
શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ અને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. તાપી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ 41 જેટલા હોદ્દેદારો અને સનિષ્ઠ કાર્યકરોએ બાયો ચઢાવી છે. આ મામલે પ્રદેશ ભાજપ સંગઠન સુધી લેખિત રજૂઆત કરી અમિત પટેલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ

Tapi BJP Faces Fresh Infighting: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ અને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. તાપી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ 41 જેટલા હોદ્દેદારો અને સનિષ્ઠ કાર્યકરોએ બાયો ચઢાવી છે. આ મામલે પ્રદેશ ભાજપ સંગઠન સુધી લેખિત રજૂઆત કરી અમિત પટેલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

શું છે વિવાદનું મૂળ?

છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે કે અમિત પટેલને જિલ્લા ભાજપના 'મહામંત્રી' જેવું મહત્ત્વનું પદ સોંપવામાં આવી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે અમિત પટેલ પોતે પણ પદ નિશ્ચિત હોવાનો દાવો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, વાલોડ તાલુકા ભાજપના કાર્યકરોમાં આ વાતને લઈને ભારે રોષ છે. કાર્યકરોનો સ્પષ્ટ મત છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિને પ્રમોશન આપવું એ સંગઠન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી

ધમકીથી લઈને પક્ષ વિરોધી કામગીરી સુધી

પ્રદેશ નેતૃત્વને મોકલાયેલા પત્રમાં અમિત પટેલ સામે ગંભીર આરોપોની યાદી સોંપવામાં આવી છે. તેમના પર નાના કાર્યકરો અને હોદ્દેદારો સાથે અવારનવાર ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ કરાયો છે. તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ કામગીરી કરી હોવાનો દાવો કરાયો છે. આ સાથે ઓક્ટોબર 2025માં વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સલિમ મુલતાનીને ફોન પર 'ખોટા એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની' ધમકી આપ્યાનો પત્રમાં ઉલ્લેખ છે. આ મામલે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.


સંગઠન વિરુદ્ધ વ્યક્તિગત હિતોનો જંગ?

સ્થાનિક હોદ્દેદારોનું કહેવું છે કે જો પક્ષના શિસ્તનો ભંગ કરનાર વ્યક્તિને હોદ્દો આપવામાં આવશે, તો પાયાના કાર્યકરોનો પક્ષ પરથી વિશ્વાસ ઉઠી જશે. આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવતા આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

આક્ષેપો બાબતે અમિત પટેલે શું કહ્યું?

આ સમગ્ર વિવાદ અંગે જ્યારે ગુજરાત સમાચાર ડિજીટલે અમિત પટેલનો સંપર્ક કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મામલે વાત કરવાનું ટાળ્યું હતું અને કોઈ પણ સ્પષ્ટ પ્રતિઉત્તર આપ્યો ન હતો.