Get The App

તનિષ્ક જવેલર્સનો સ્ટોર મેનેજર ગ્રાહકે આપેલા રૂા. 17 લાખ ઓળવી ગયો

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
તનિષ્ક જવેલર્સનો સ્ટોર મેનેજર ગ્રાહકે આપેલા રૂા. 17 લાખ ઓળવી ગયો 1 - image


રાજકોટના 150  ફૂટ રિંગ રોડ પર આવેલા  સ્ટોરનો મેનેજરે  ગ્રાહકને આપવાને બદલે દાગીના ખરીદી બારોબાર વેંચી નાખ્યાં 

રાજકોટ, : અહીંનાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ તનિષ્ક જવેલર્સના શો રૂમનો સ્ટોર મેનેજર નિલેષ પ્રવિણભાઈ ધધડા ગ્રાહકે દાગીના ખરીદવા આપેલા રૂા. 17 લાખ ઓળવી ગયાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. 

શો રૂમના લાયઝનિંગ ઓફિસર ચેતનભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નિલેષ અગાઉ ગાંધીધામના શો રૂમમાં નોકરી કરતો હતો. એકાદ વર્ષ પહેલાં તેની રાજકોટના શો રૂમમાં બદલી થઈ હતી. હાલમાં તે સ્ટોર મેનેજર તરીકે ખરીદ-વેચાણ અને નાણાંકિય વ્યવહારની તમામ જવાબદારી સંભાળતો હતો. 

ગઈ તા. 4 મેનાં રોજ શો રૂમ પર જૂના ગ્રાહક મિલનભાઈ પોટા આવ્યા હતા. જેણે તેને કહ્યું કે દાગીના ખરીદવા માટે ગત જાન્યુઆરી માસમાં તેણે નિલેષને  કુલ રૂા. 17 લાખ આપ્યા હતા. જેમાંથી રૂા. 3 લાખ ઓનલાઈન અને બાકીના રોકડા આપ્યા હતા. ત્યાર પછી નિલેષે આ રકમમાંથી દાગીના ખરીદી તેને પોતાની પાસે રાખ્યા બાદ બારોબાર વેંચી નાખ્યા હતા. 

જેને કારણે નિલેષ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આમ છતાં તેણે આજ સુધી ગ્રાહકને દાગીના આપ્યા નથી. એટલું જ નહી શો રૂમમાં પણ દાગીના જમા કરાવ્યા નથી. જેથી તેના વિરૂધ્ધ ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નિલેષ મૂળ ગાંધીધામનો વતની છે. હાલ ઉમિયા ચોકમાં આવેલા જસરાજનગર-1માં રહે છે. પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. 


Tags :