યોગ એકેડમીની વાતો હવામાં રહી, ડિપ્લોમા યોગાનો કોર્સ 5 વર્ષથી બંધ
યોગાસનના પ્રશિક્ષણને પુરતુ પ્રોત્સાહન મળતુ નથી: તજજ્ઞાો : અગાઉ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં યોગ દિનની ઉજવણી પુર્વે યોગાસન શિખવવા માટેનું સત્ર યોજાતુ હતુ આ વર્ષે તેના પણ ઠેકાણાં નથી
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં શારીરિક શિક્ષણ ભવનમાં લાગલગાટ પાંચ વર્ષ સુધી યોગના ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલતો હતો પરંતુ વિદ્યાર્થીઓનાં અભાવે વર્ષ 2021 પછી બંધ થયો છે. હવે અહી શારિરિક શિક્ષણના અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલે છે. પરંતુ યોગનાં શિક્ષણની કોઈ સુવિધા નથી. આગામી તા. 21 જુનનાં રોજ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે યોગાસનોના એકેડેમીક અભ્યાસના સંદર્ભમાં ઉપલબ્ધ સુવિધાનું કંગાળ ચિત્ર સબંધિત અધ્યાપકો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણીમાં યોગાસનની ચાવીરૂપ ભુમિકા હોવાનું જણાવી અધ્યાપકોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.માં અગાઉ આંતરરાષ્ટ્રય યોગ દિન પુર્વે અઠવાડીયા સુધી યોગપ્રશિક્ષણના વર્ગો ગોઠવાતા હતાં. હવે એ પણ આ વર્ષે બંધ છે. યોગાસનનું મહત્વ ઘર ઘર સુધી પહોંચે તે માટે અહી યુનિયમાં યોગ એકેડેમી શરૂ કરવાની યોજના હતી. પરંતુ તે માત્ર જાહેરાત સુધી જ સીમિત રહી છે. યોગના ડીપ્લોમાં અભ્યાસક્રમને વર્ષ 2017થી વર્ષ 2021 સુધી ચલાવવામાં આવ્યા પછી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે આ અભ્યાસક્રમમાં જોડાવવા માટે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હતા પરંતુ પ્રમાણપત્ર વેરીફિકેશનમાં માત્ર બે ચાર વિદ્યાર્થીઓ જ આવતા હતાં. પાંચ વર્ષ સુધીયોગાસનના અભ્યાસ માટે યોગના વીઝીટીંગઅધ્યાપકોની મદદથી ગાડુ ગબડાવ્યું પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા વીઝીટીંગ અધ્યાપકોને બોલાવવાનું પણ આર્થિક રીતે પરવડે તેમ નહી હોવાથી ડિપ્લોમાં યોગાસનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોમાં આજે એક પણ કોલેજમાં યોગાસનના અભ્યાસક્રમો ચાલતા નથી. યોગનું મહત્વ દિન પ્રતિદિનિ વધતુ જાય છે. પરંતુ વિધિવત તેનો અભ્યાસ થાય છે. વિદ્યાર્થીઓ યોગાભ્યાસમાં કારકિર્દી ઘડી શકે તેવા પ્રયત્નો નહીવત થતા હોવાનું જણાવાયું હતું.