કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે
- ભાવનગર વિભાગે રાજકોટ અને અમદાવાદ માટે વધારાના સંચાલનનું આયોજન કર્યું
- ભાવનગર, પાલિતાણા, મહુવા અને તળાજા ડેપોમાંથી ૨૪થી વધુ બસ દોડશે, સાંજે રિટર્ન ટ્રીપોનો પણ સમય ગોઠવી દેવાયો
ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા તલાટીની પરીક્ષાને લઈ તા.૧૪-૯ને રવિવારે વહેલી સવારથી એકસ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર ડેપોમાંથી રાજકોટ માટે ૧૫ અને અમદાવાદ માટે ૪ એકસ્ટ્રા ટ્રીપ દોડાવાશે. પાલિતાણા ડેપોમાંથી અમદાવાદ માટે ત્રણ, મહુવા ડેપોમાંથી અમદાવાદ માટે ૧ અને તળાજા ડેપોમાંથી અમદાવાદ માટે ૧ એકસ્ટ્રા બસ દોડાવાશે. તેવી જ રીતે અમદાવાદ અને રાજકોટથી સાંજે તમામ એકસ્ટ્રા બસોની રિટર્ન ટ્રીપોનો પણ સમય ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ ઉમેદવારોની ડિમાન્ડ રહેશે તો વધારાનું સંચાલન હાથ ધરાશે તેમ એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, એસ.ટી. તંત્ર દ્વારા ઓનલાઈન એકસ્ટ્રા મુકવામાં આવતાની સાથે થોડા જ સમયમાં ધડાધડ બુકિંગ થઈ જતાં હતા. ભાવનગરમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા પણ રાજકોટ લાવવા-લઈ જવા ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગરમાં પરીક્ષાને લઈ જાહેરનામું જારી કરાયું
ભાવનગર શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર રવિવારે મહેસૂલી તલાટી, વર્ગ-૩ની પ્રિલિમીનરી પરીક્ષા લેવાની હોય, જેને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું જારી કરી પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્યો છે. મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ, પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લાવવા-ઉપયોગ તેમજ ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ માણસોને એકઠા થવા પર અને અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.