નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Takara Waterfall : નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, તે ચોમાસામાં પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠે છે. લીલાછમ જંગલો, ઊંચા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાં અને નાના-મોટા ધોધ આ મોસમમાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.
ટકારાનો ધોધ: એક છુપાયેલું રત્ન
નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી અને નિનાઈ ધોધ પોતાની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. જોકે, નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો ટકારાનો ધોધ પણ કોઈથી કમ નથી. ચોમાસામાં આ ધોધ તેની પૂરી ભવ્યતામાં ખીલી ઉઠે છે, અને તેનો નયનરમ્ય નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.

રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો ધોધ
નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ અદભૂત સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકીનો એક નયમરમ્ય ધોધ છે તે 'ટકારાનો ધોધ' છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખુબ જ ઊંચાઈ પરથી પડતો હતો. જેને કારણે ખુબ મોટો અવાજ પણ આવતો હતો, અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા
રાજપીપળા નજીક આવેલા આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોચકીના વળાંક તરફ જતા આ ટકારાના ધોધનું કુદરતી નયન રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદુષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે. જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. લોકો સેલ્ફીની પણ મઝા માણી રહ્યા છે. જોકે આ સુંદર પિકનિક પોઇન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવુ લોકો ઇચ્છી રહ્યા છે.

સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે. અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી. નીચે ઉતરવા માટે પગથિયાં બનાવવાની પણ જરૂર છે.









