Rajkot aap Worket Died : રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય યુવતી નંદની આનંદભાઈ બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તે મૂળ જેતપુરની હતી અને ગત વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી પણ કરી હતી. તેણે વિધર્મી પ્રેમીના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી રહ્યાનો સોશ્યલ મીડિયામાં મેસેજ મુક્યો હતો, પણ તેણીના પરિવારે આ બનાવને આયોજનબદ્ધ હત્યા ગણાવી, આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરતા પોલીસે પેનલ ડોક્ટર મારફત ફોરેન્સિક પોસ્ટમોર્ટમની તજવીજ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઘટનાની વિગતો અનુસાર, મૃતક નંદની કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ (એમઆર) તરીકે નોકરી કરતી હતી. પરિવારમાં બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી દીકરી હતી. તેણી જૂનાગઢમાં અસલમ હુસેન સમા નામના પરીણિત શખ્સના મકાનમાં ભાડે રહેતી હતી, ત્યારે તેના પરિચયમાં આવી હતી અને પ્રેમમાં પડી હતી. ગત વર્ષે તેની સાથે મૈત્રી કરાર કરીને રાજકોટ રહેવા આવી ગઈ હતી. આ સંબંધોનો બંને પરિવારોએ ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન પીયર પક્ષને અનેક વખત તેણીએ પોતાને પ્રેમી અસલમ અમાનુષી ત્રાસ આપતો હોવાનું કહ્યું હતું અને એકાએક આજે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેણીની લાશ મળી આવી હતી.
મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયા (જેઓ નવાગઢ જેતપુરમાં રહે છે અને ટ્રેડિંગનું કામ કરે છે તેમને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો લોક ન હતો, માત્ર અટકાવેલો હતો અને પાછળ બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો. અસલમે જ નંદનીને માર મારી, તેની હત્યા કરીને લાશને પંખા પર ટીંગાડી દીધી છે અને સમગ્ર મામલાને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ ચકચારી અને હૃદયદ્રાવક મામલે રાજકોટ તાલુકા પોલીસે પિતાનું સત્તાવાર નિવેદન નોંધી, મેડિકલ રિપોર્ટના આધારે ગુનો દાખલ કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
પાંચ મહિના પહેલા અસલમના પરિવારે ખૂની હુમલો કર્યો હતો
પ્રેમ સંબંધનો કૌટુંબિક વિવાદ એટલો વકર્યો હતો કે પાંચ મહિના પહેલા જૂનાગઢમાં અસલમની પત્ની, સાસુ, સસરા, માતા અને માસી સહિતના પાંચ શખ્સોએ નંદની પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો, જે અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ હુમલા બાદ અસલમ અને નંદની છેલ્લા પાંચ મહિનાથી રાજકોટમાં આગમન સિટી ખાતે ભાડાનો રૂમ રાખીને સાથે રહેતા હતા. જો કે, અસલમ અવારનવારઝઘડો કરી ઢોર માર મારતો હતો એટલે નંદની ભારે માનસિક તણાવમાં રહેતી હતી.
સંતાન નથી જોઈતું કહીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું
મૃતકની નાની બહેને આક્ષેપ કર્યો કે, 'અસલમે નંદનીને અમાનવીય ત્રાસ આપ્યો છે. સંતાન નથી જોઈતંુ કહીને તેણીનું ઓપરેશન કરાવીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું હતું. છેલ્લા એકાદ મહિનાથી અસલમ અને તેના પરિવારનું ટોર્ચર અસહ્ય બની ગયું હતું, માટે તે એકલી રહીને નોકરી કરીને નવું જીવન શરૂ કરવા માંગતી હતી. પરંતુ એ પહેલાં જ કરુણ અંત આવી ગયો હતો.'
'પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું'ઃ નંદનીનો અંતિમ મેસેજ
આપઘાત કરતાં પહેલાં નંદનીએ મોકલેલા છેલ્લા મેસેજમાં ખુલાસો કર્યો હતો કે તેના તમામ સોના-ચાંદીના ઘરેણાં પણ અસલમે ગીરવે મૂકી દીધા હતા અને તેની જિંદગી નરક સમાન બનાવી દીધી હતી. માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડેલી નંદનીએ અંતિમ પગલું ભરતા પહેલાં સોશિયલ મીડિયા સ્ટેટસ પર હૃદયદ્રાવક શબ્દો લખ્યા હતા કે, 'પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું.' ગઈકાલે સાંજે 7:30 વાગ્યા આસપાસ નાની બહેન રૂપલે ફોન કરવા છતાં નંદનીએ ફોન રિસીવ ન કરતા, પરિવારે માનેલા ભાઈ રવિભાઈને ફ્લેટ પર તપાસ કરવા મોકલ્યા હતા. તેમણે ત્યાં પહોંચતા જ હોલમાં નંદનીની ગળા ફાંસો ખાધેલી લાશ મળી આવી હતી.


