Jamnagar Corporation : જામનગરમાં ઓશવાળ સેન્ટરથી દિગજામ સર્કલ સુધીના ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સિક્સ લેનનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજથી જ હરકતમાં આવી ગયું હતું.
મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની રાહબરી હેઠળ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આશી કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમ દ્વારા ખોડીયાર કોલોનીથી દિગજામ સર્કલ તરફના માર્ગ પર ચાલીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરાયું હતું. જયાં મ્યુનિ. કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જામનગરના રણમલ તળાવ ટુ નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે સ્થળે પણ તમામ અધિકારીઓની ટુકડી પહોંચી હતી, અને સમગ્ર કાર્યવાહીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.


