Gujarat

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

By GS TEAM
6 Mar 20262 mins read
સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ

ડીડીઓની ગેરહાજરી ગેરહાજરી ચર્ચાનો વિષય ઃ પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ ઃ ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૃ.૧૫.૨૪ કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર થયું છે. વર્તમાન બોડીનું અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ લેવાઇ હતી. પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે.

 

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આજે વિપક્ષના હોબાળા અને વિવાદો વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોઈ પણ નવી કે આકર્ષક જોગવાઈઓ વગરનું અત્યંત નીરસ બજેટ રજૂ કરાયું હતું. નવાઈની વાત એ છે કે, લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે માત્ર બે જ મિનિટમાં બજેટની તમામ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.

 

આગામી ૧૭મી માર્ચના રોજ વર્તમાન સભ્યો અને ચેરમેનોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી હવે જિલ્લા પંચાયત પર વહીવટી શાસન અમલી બનશે, તે પૂર્વે રજૂ થયેલું આ બજેટ માત્ર ઔપચારિકતા બનીને રહી ગયું હતું.

 

બજેટ સત્ર દરમિયાન જિલ્લા પંચાયતના ૩૨ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિકાસ તેમજ રોજગારી અંગે રજૂઆતો કરવા માંગતા હતા. જોકે, પ્રમુખ અને જવાબદાર ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની ગેરહાજરીમાં રજૂ થયેલા આ બજેટ બાદ પ્રમુખ અને અધિકારીઓ મીડિયાના પ્રશ્નોથી બચવા માટે ભાગતા નજરે પડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર ચા-પાણી પીને છૂટા પડયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જિલ્લા પંચાયત અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી હોવા છતાં, તેના નવીનીકરણ કે કાયમી વ્યવસ્થા માટે બજેટમાં કોઈ નક્કર જોગવાઈ કરવામાં આવી નથી.

 

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા આ અંદાજપત્રમાં કુલ રૃ.૧૫.૨૪ કરોડનું સ્વભંડોળ દર્શાવવામાં આવ્યું છે. જેમાં રૃ.૧૩ કરોડની સંભવિત આવક અને રૃ.૨.૨૪ કરોડની ઉઘડતી સિલકનો સમાવેશ થાય છે.

 

વિવિધ ક્ષેત્રો માટે કરાયેલી જોગવાઈઓ

ક્ષેત્ર    ફાળવેલ રકમ (અંદાજિત)

સામાન્ય વહીવટ        ૧.૮૭ કરોડ

મહેસૂલ ક્ષેત્ર    ૬.૮૨ કરોડ

વિકાસ ક્ષેત્ર     ૧.૬૪ કરોડ

બાંધકામ ક્ષેત્ર   ૬૧ લાખ

સમાજ કલ્યાણ  રૃ.૨૭ લાખ

શિક્ષણ અને આરોગ્ય    રૃ.૩.૮૦ લાખ