આત્મહત્યા કરવા જતી સગર્ભાને સુરેન્દ્રનગર અભયમ ટીમે બચાવી
પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી
ચાર મહિનાનો ગર્ભ છતાં પતિ પેટ પર લાત અને પટ્ટા મારતા મહિલાએ આત્મહત્યાનો નિર્ણય લીધો હતો
સુરેન્દ્રનગર - વઢવાણ વિસ્તારમાં પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જતી સગર્ભાને સુરેન્દ્રનગર અભયમ ટીમે બચાવી નજવજીવન આપ્યું છે. ચાર મહિનાનો ગર્ભ છતાં પતિ પેટ પર લાત અને પટ્ટા મારતા મહિલાએ આત્મહત્યાનો નિર્ણય લીધો હતો. અભયમ ટીમ દ્વારા જિંદગીથી હારી ગયેલી પરણિતાનું કાઉન્સેલીંગ કરી આત્મહત્યા કરતા બચાવી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો છે.
વઢવાણના ધોળીપોળ વિસ્તારમાં મુંજાયેલી એક મહિલાએ મદદ માટે ૧૮૧માં કોલ કરતા ગણતરીની મિનિટોમાં કાઉન્સેલર પાયલબેન પ્રજાપતિ અને પાયલોટ યશવંતગીરી ગોસાઈ તેમજ મહિલા કોન્સ્ટેબલ સુનીતાબેન ડાભી સહિતનાઓએ સ્થળ પર પહોંચી મહિલાને સાંત્વના આપી હતી. મહિલાની પુછપરછ કરતા સાત વર્ષ પહેલા થયા હતા અને હાલ તેમને ૮ વર્ષની દિકરી છે. લગ્ન જીવન શરૃઆતમાં સારૃ ચાલતું હતું પરંતુ થોડા દિવસો બાદ પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતાં હતા અને સાસુ-સસરા મેણાટોણાં મારી મહિલાને શારીરિક અને માનસીક રીતે ટોર્ચર કરતા હતા. તેમજ નાની-નાની વાતમાં પતિ ઝઘડો કરી મારપીટ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. આથી કંટાળી પરણિતા પિયર રહેવા જતા રહ્યાં હતાં અને છુટ્ટાછેડા લઈ લીધા હતા પરંતુ થોડા સમય બાદ ફરી પરણિતાના પતિ પિયર આવ્યા હતા અને ધીમેધીમે ફોનમાં વાતચીત શરૃ થતા પતિએ દિકરી માટે ફરીથી લગ્ન કરી લેવાનું જણાવતા પતિએ પરિવાર સાથે ચર્ચા કરી થોડા દિવસમાં લગ્ન કરી લેવાની શરતે પરણિતાને ફરી સાસરે લઈ ગયા હતા પરંતુ બે વર્ષ જેટલો સમય વિતિ ગયો હોવા છતાં લગ્ન કર્યા નહોતા.
પરણિતાને હાલ ચાર મહિનાનો ગર્ભ હોવા છતાં પતિ પેટ પર લાત મારતા અને પટ્ટા દ્વારા મારપીટ કરતા હતા. આથી પીડીતાએ નીરાશ અને હતાશ થઈને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો અને ઘર છોડી દીધું હોવાનું ૧૮૧ અભયમ ટીમને જણાવ્યું હતું. આથી ટીમના કાઉન્સેલર દ્વારા પીડીતાને એક સંતાન હોવાથી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું અને સમજાવટથી સુરક્ષા અને સંભાળની ખાત્રી સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. આમ ૧૮૧ અભયમ ટીમના સફળ પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાને જીવન જીવવાની પ્રેરણા પુરી પાડી નવી રાહ ચીંધી છે.