સુરત પાલિકા-પોલીસની ગંભીર બેદરકારીથી સુરતની 100 વર્ષ જૂની હોસ્પિટલ બીમાર, દબાણ હટાવવા સંસ્થા ગૃહમંત્રીની શરણમાં
Surat : સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતમાં 100 વર્ષથી લોકોની રાહત દરે સારવાર કરતી હોસ્પિટલ જ બીમાર પડી છે. શહેરના કોટ વિસ્તારના લોકો માટે આર્શીવાદ બનેલી બાલાજી રોડ પર આવેલી હોસ્પિટલ આસપાસ ગેરકાયદે દબાણો પાલિકા અને પોલીસે દૂર ન કરતા અહીં ગંભીર દર્દીઓને લઈને આવતી એમ્બુલન્સ પણ આવી શકતી નથી. પાલિકા-પોલીસે દબાણ દુર કરવાની કામગીરી ન કરાતા ટ્રસ્ટના પ્રમુખે રાજ્યના ગૃહ મંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે કે પોલીસ ખાતું ગૃહ ખાતાના મંત્રીના હુકમને તો માન આપશે. તમારા હુકમને તેઓ અવગણી નહિ શકે તેથી આ દબાણ દૂર થઈ શકશે.
સુરતમાં દબાણ માટે કુખ્યાત એવા બાલાજી રોડ-ચૌટા બજારમાં માથાભારે ગેરકાયદે દબાણના કારણે 100 વર્ષ જૂની હોસ્પિટલ બીમાર પડી ગઈ છે. આ હોસ્પિટલની આસપાસ પારાવાર દબાણ હોવાના કારણે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે એમ જ નથી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચવાથી દર્દીના મૃત્યુ થયા હોવાની ફરિયાદ છે. વખત આ ગેરકાયદે દબાણના કારણે ગંભીર હાલતમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને પોલીસવાન ફસાઈ ગઈ હોવાના અનેક વિડીયો વાયરલ થયા છે. આવી સ્થિતિમાં લોકોને રાહત દરે સારવાર આપતી સુરતની જૂનામાં જૂની હોસ્પિટલ શેઠ પી.ટી.સુરત જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે
આ પહેલા ટ્રસ્ટ દ્વારા પાલિકા અને પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ફેર પડ્યો નથી જેથી કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંસ્થાના પ્રમુખ, સુનીલ મોદી દ્વારા પત્ર લખ્યો છે. આ પત્રમાં હોસ્પિટલની આસપાસના ગેરકાયદે દબાણની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, 100 વર્ષ જુની હોસ્પિટલ ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા, રોડ ઉપર કરવામાં આવતા ગેરકાયદે અધિક્રમણ-એન્ક્રોચમેન્ટ કારણે બંધ થવાને આરે આવી ગઈ છે. આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આવી સ્થિતિ તંત્રની આડા કાન કરવા નિર્દયી વૃત્તિ કહેવી કે કોઈ ચોક્કસ ગ્રૂપનું દબાણ કહેવું એ સમજાતું નથી તેથી હવે ગૃહમંત્રીને આશરે આવ્યા છે. અમે માનીએ છીએ કે પોલીસ ખાતું ગૃહખાતાના મા.મંત્રીના હુકમને તો માન આપશે. તમારા હુકમને તે અવગણી નહિ શકે તેથી હવે દબાણ દુર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્ર પછી દબાણ દુર થાય છે કે નહીં તે આગામી સમય જ બતાવશે.