Get The App

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખપદની ચુંટણીમાં હવે ત્રિ-પાંખિયો જંગ

બાર પ્રમુખ પદની દાવેદારી નોંધાવનાર ધર્મેન્દ્ર પ્રજાપતિએ અંગત કારણોસર છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા ત્રણ ઉમેદવારો વચ્ચે મત માટે મથામણ

Updated: Dec 13th, 2023

GS TEAM


Google News
Google News
સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખપદની ચુંટણીમાં હવે ત્રિ-પાંખિયો જંગ 1 - image



સુરત

બાર પ્રમુખ પદની દાવેદારી નોંધાવનાર ધર્મેન્દ્ર પ્રજાપતિએ અંગત કારણોસર છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા ત્રણ ઉમેદવારો વચ્ચે મત માટે મથામણ

     

આગામી વર્ષ માટે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખપદ દાવેદારી નોંધાવનાર એક ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધિની અંતિમ ઘડીએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે.જેથી આગામી 22 ડીસેમ્બરે  યોજાનારી બાર એસો.ના હોદ્દેદારોની ચુંટણીમાં હવે હવે ત્રણ ઉમેદવારો વચ્ચે જ વકીલઆલમના અંદાજે 4500 મતો હાંસલ કરવા મથામણ થશે.

આગામી વર્ષ-2023-24 માટે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા ખજાનચી સહિત 11 કારોબારી સભ્યોના પદ માટે 22 ડીસેમ્બરના રોજ ચુંટણી યોજાનાર છે.જેમાં પ્રમુખપદ માટે ચાર દાવેદાર ઉદય પટેલ ,હિરલ પાનવાલા,ટર્મિશ કણીયા તથા ધર્મેન્દ્ર પ્રજાપતિએ પોતાની દાવેદારી નોંધાવી હતી.જેમાં ઉદય પટેલના ટેકેદાર તરીકે સીનીયર વકીલ ગૌતમ દેસાઈ તથા રાજેશ ઠાકરીયાએ સહી કરી સમર્થન આપ્યું છે.

જ્યારે ઉપપ્રમુખપદ માટે અભિષેક શાહ, અનિલ જાધવ,મંત્રી પદ માટે અશ્વિનકુમાર પટેલ, નિલેશકુમાર માણીયા,સહમંત્રી માટે વિશાલ લાઠીયા,નિર્મલ બકેરીયા, તથા ખજાનચી પદ માટે પટેલ અનુપકુમાર,લાઠીયા બ્રિજેશકુમાર,ચૌહાણ મંયકકુમારે પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવી હતી.અલબત્ત ગઈકાલે બાર એસો.ના વિવિધ પદો માટે દાવેદારી નોંધાવનાર ઉમેદવારોના દાવેદારી ફોર્મની ચકાસણી બાદ તમામના ફોર્મ મંજુર રાખવામાં આવ્યા હતા.

આજે દાવેદારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ કલાકે છેલ્લી ઘડીએ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવનાર ધર્મન્દ્ર શંભુભાઈ પ્રજાપતિએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી.અલબત્ત ફોર્મ પરત ખેંચવા માટે પોતાના અંગત કારણો હોવાનું જણાવ્યું છે.પરંતુ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવનાર ધર્મેન્દ્ર પ્રજાપતિને ફોર્મ પરત ખેંચવા માટે રાજકીય પક્ષના લીગલ સેલ દ્વારા પ્રેસર ટેકનિક અપનાવી હોવાની વકીલઆલમમાં ચર્ચાએ જોર પકડયુ છે.

જેથી સૌરાષ્ટ્રીયન વકીલોના સહકારથી પ્રમુખપદ માટે ચુંટણી માટે ફોર્મ ભરનાર દાવેદારે જ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા સંભવતઃ સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રીયન ઉમેદવારની ગેરહાજરીમાં જ બાર એસો.નાપ્રમુખની ચુંટણી લડાશે.જેથી બાર પ્રમુખના ત્રિ-પાંખિયા જંગમાં સૌરાષ્ટ્રીયન વકીલોનો મતો તથા મહીલા વકીલોના મતો આ વખતની ચુંટણીમાં નિર્ણાયક સાબિત થશે. જો કે આ વર્ષની ચુંટણીમાં કોર્ટ બિલ્ડીંગના સુચિત જીયાવ બુડીયા ખાતે સ્થળાંતરના સમર્થન અને વિરોધમાં વકીલઆલમ વિભાજિત વિચારધારા વચ્ચે નવા હોદ્દેદારોની ચુંટણીનો હાર જીતનો મદાર રહેશે.જેથી હવે આગામી 22મી ડીસેમ્બરના રોજ યોજાનાર પ્રમુખપદની ચુંટણી માટે પ્રમુખપદ અને ખજાનચી પદ માટે ત્રિ-પાંખિયો તથા ઉપપ્રમુખ,મંત્રી તથા સહમંત્રી પદ માટે દ્વિ-પક્ષીય ચુંટણી જંગ ખેલાશે.


Tags :